તળાવમાં બાંધકામ મુદ્દે હાઇકોર્ટ ભુજ પાલિકા ઉપર લગાવી રોક
બીજે જમીન માંગી બાંધકામ કરો : જળાશયો સાચવવાની જવાબદારી શાસકોની છે
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ : જળાશયોને સાચવવાની જવાબદારી શહેરના શાસકોની છે. આવી ટકોર કરતાં હાઈકોર્ટે ભુજના પ્રાગસર તળાવ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે અને પ્રાગસર તળાવમાં મટન કે મચ્છી માર્કેટ બનાવવા મનાઈ ફરમાવી દીધી છે.
ભુજના હમીરસર અને પ્રાગસર તળાવમાં બાંધકામના મુદ્દે ભુજના નાગરિક શ્રીરાજ ગોહિલે જાહેરહિતની હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અનુસંધાને શ્રીરાજ ગોહિલે હાઈકોર્ટના ચુકાદાની વિગતો આપતા જણાવેલ કે, પાલિકા દ્વારા પ્રાગસર તળાવમાં મચ્છી અને મટન માર્કેટ બનાવવા માટે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
તળાવ સુકાઈ જાય ત્યારે તેમાં આ કામગીરીની પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવનારી હતી. પરંતુ કોર્ટે તે તમામ કામગીરી પર રોક લગાવી છે. નગરપાલીકાને આવા પ્રોજેકટ માટે રાજય સરકાર પાસેથી અન્ય જગ્યાએ જમીન માંગણી કરવી જેાઈએ. પ્રાગસર તળાવમાં કોઈ પણ જાતનું દબાણ ન થાય તે જોવાની જવાબદારી નગરપાલીકાની છે તેવી સુચક ટકોર કરી હતી.