જામનગરમાં ચાર કલાકમાં ચાર ઇંચ ખાબક્યો : :મોરારીબાપુના કથા મંડપમાં અફરાતફરી : અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી
મંડપમાં અનેક જગ્યાઓથી પાણી પડતા ખુદ મોરારીબાપુએ પણ લોકોને સંયમ જાળવવા અપીલ કરી
જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર, કાલાવડ તેમજ જામનગર શહેરમાં મોડી સાંજથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. મોરારીબાપુના કથા મંડપમાં પણ વરસાદના કારણે દોડધામ મચી હતી.
જામનગર જિલ્લામાં મેઘરાજા મહેર વરસાવી રહયાં છે. શનિવારે સાંજથી મુશળધાર વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. ચાર કલાકમાં જ ચાર ઇંચથી વધારે વરસાદ વરસી જતાં જામનગર શહેરમાં રજવાડી સમયનું રણમલ તળાવ પણ ભરાઈ જવા પામ્યું છે જેના કારણે તળાવના દરવાજાઓ ખોલવાની તંત્રને ફરજ પડી છે.
જિલ્લાના ઊંડે એક , આજી 3 તેમજ સસોઈ ડેમ અને રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયા હતા જામનગરના અનેક નીચાણવાળા વિસ્તારો ગુલાબનગર યોગેશ્વર પાર્ક દિગ્વિજય પ્લોટ તેમજ જયશ્રી ટોકીઝ પાસે ગોઠણડૂબ પાણી ભરાતા શહેરીજનોએ પસાર થવું મુશ્કેલ બન્યું છે.
જામનગરમાં ભારે વરસાદના કારણે કથાકાર મોરારિબાપુની માનસ કથામાં પણ વરસાદની અસર જોવા મળી હતી. સભામંડપમાં અનેક જગ્યાઓએથી પાણી પડતાં રામાયણની કથા સાંભળવા આવેલા ભક્તોમાં પણ અફડા-તફડી મચી જવા પામી હતી મંડપમાં અનેક જગ્યાઓથી પાણી પડતા ખુદ મોરારીબાપુએ પણ લોકોને વ્યાસપીઠ ઉપરથી સંયમ જાળવવા અને વરસાદથી બચી તુરંત ઘરે પહોંચી જવા માટે અપીલ કરી હતી.