ભાવનગરમાં દબાણ હટાવ ઝુંબેશ
ભાવનગર તા ૯ : ભાવનગર ગામતળ તથા આસપાસના વિસ્તારોમાં લગાતાર ૬ દિવસ સુધી મોટાપાયે દબાણો દુર કરવાની કામગીરી કર્યા બાદ મહાપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા સાતમા દિવસે વ્યાપ વધારવામાં આવ્યો અને નવા એરિયામાં ખડકાયેલ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૬ ટીમ તળાજા રોડ, તળાજા જકાતનાકાપ કાળીયાબીડ પાણીની ટાંકી વાળો રોડ, વાઘાવાડી રોડ કાળનાળા-ઉપરકોટ ચિત્રા, પ્રેસ કવાર્ટર સહિતના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી હતી. અને કેબીનો સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા.
એક સપ્તાહથી શહેરભરમાં ડીમોલેશનનું કાર્ય મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છેે જે કામગીરીમાં માત્રને માત્ર નાના વેપારીઓને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે, પરંતુ બોરતળાવની જમીનમાં વિશાળ વિદ્યાસંકુલ, ધાર્મિક આશ્રમ ઉપરાંત બોરતળાવ કાંઠા પર શહેરની એક પ્રતિષ્ઠીત ધાર્મિક સંસ્થા દ્વારા વર્ષોથી દબાણો યથાવત છે. ઉપરાંત શહેરમાં અનેેક નામચીન બિલ્ડરો દ્વારા પાર્કિગની જગ્યા પર વ્યવસાયી એકમો ખુલ્લા મુકેલા છે. જેના વિરૂધ્ધ તંત્રએ એક હરફ સુધ્ધા ઉચ્ચારતા નથી એ જ રીતે તમામ શહેરજનો ના મોઢે રોડ પર પશુઓનો અસહ્ય ત્રાસ આ બાબતે પણ તંત્ર કશુ કહેવા કે કામગીરી કરવા માંગતુ નથી જે લોક ચર્ચાનો વિષય બન્યો છે.