ભાવનગરનાં શેત્રુંજય ડિવીઝન નીચે ગારીયાધાર તાલુકાને નવી વાઇલ્ડલાઇફ રેન્જ ફાળવવા રજૂઆત
વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવતા વેળાવદરના રવિરાજભાઇ સાંડસુર
રાજકોટ તા.૯ : ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામના રવિરાજભાઇ મંગળુભાઇ સાંડસુરએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને શેત્રુંજય ડિવીઝન નીચે આવતા ગારીયાધાર તાલુકાને નવી વાઇલ્ડલાઇફ રેન્જ ફાળવવા માંગણી કરી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલા પત્રમાં રવિરાજભાઇ સાંડસુરે વધુમાં જણાવ્યુ છે કે, ચાલુ બજેટ સત્રમાં સિંહ સંરક્ષણ અને વિકાસ અર્થે નવુ શેત્રુંજય ડિવીઝન અમલ આવવાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ગારીયાધાર (ભાવનગર)નો રેન્જ તરીકે સમાવેશ કરવામાં આવેલ નથી.
અન્ય રેન્જો કરતા ગારીયાધારમાં ૨૦૧૫ની સિંહ વસ્તી ગણતરીમાં સૌથી વધુ સિંહો નોંધાયેલા છે. વન વિભાગના આંકડા મુજબ છેલ્લા પ વર્ષમાં અંદાજીત ૩૦૦ થી વધારે મારણ કેસ નોંધાયેલ છે. જેનાથી સાબિત થાય છે કે અહી સિંહોની વસ્તુ વધુ છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલ પત્રમાં રવિરાજભાઇ સાંડસુરએ જણાવ્યું છે કે વેળાવદર પંથકમાં વિરડી, મોરબી, બેલા, નવાગામ, મેસણકા, સરંભડા, ઠાસા, ખોડવદરી, લુવારા, ભંડારીયા, ગુજરડા સહિતના ગામો આવે છે.
આ પંથકમાં આજ દિન સુધીમાં એક પણ સિંહ સાથેના માનવ ઘર્ષણના બનાવો બન્યા નથી. કુદરતી રીતે સ્થાયી થયેલા આ વિસ્તારના સિંહો સાથે અહીની સ્થાનીક પ્રજાને સંવેદનાઓ જોડાયેલ છે. આ વિસ્તાર ખેતીવાડી વગેરે ક્ષેત્રે પછાત જેવો છે અહી ડિવીઝન કે રેન્જ બને તો આ વિસ્તારમાં પ્રવાસન અને રોજગારીની તકો વિકસી શકે તેમ છે.રવિરાજભાઇ સાંડસુરે વધુમાં જણાવ્યું છે કે, વધુમાં વધુ સિંહોની વસ્તી અને સ્થાનિક પ્રજાના પ્રાણીઓ સાથેનો પ્રકૃતિ પ્રેમ હોવા છતા આ વિસ્તારને મળનારી સુવિધાઓથી વંચીત રાખવામાં આવેલ છે જે કુદરતી ન્યાયની વિરૂધ્ધ છે. આજુબાજુના રપ ગામોની પ્રજાની લાગણી છે.