ઉનામાં મેઘરાજાને મનાવવા તમામ મંદિરોમાં સાંજે ધ્વજારોહણઃ ધુન-ભજનઃ વેપારીઓ કામધંધો બંધ રાખીને જોડાશે
ઉના, તા. ૯ : તમામ વેપારીઓ, આગેવાનો આજે બપોર બાદ કામધંધા બંધ રાખી શહેરમાં આવેલ તમામ મંદિરોમાં ધજા ચઢાવી, દરગાહોમાં ચાદર ચઢાવી મેઘરાજાને પધારવા ધુન-ભજન પ્રાર્થના તથા દુઆ માંગશે.
ઉના શહેર તથા તાલુકામાં મેઘરાજા મનમૂકીને વરસતા ન હોય ચોમાસાના મુખ્ય દિવસો કૌરા જતા ખેતરમાં વાવેલ પાક નિષ્ફળ જવાની અણી ઉપર હોય નદી-નાળા, ડેમ ખાલી છે તેથી મેઘરાજાને પધારવા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ઇશ્વરલાલ જેઠવાણી, મહામંત્રી મિતેષભાઇ શાહ, નગરપાલિકા પ્રમુખ કાળુભાઇ રાઠોડની આગેવાની હેઠળ તમામ નાના મોટા વેપારીઓ પોતાના કામ ધંધા બંધ રાખી સાંજે ૪ કલાકે પોસ્ટ ઓફીસ ચોકમાં ભેગા થઇ પદયાત્રા વાજતે ગાજતે ધુન ભજન સાથે રામજી મંદિર, બાલકૃષ્ણ હવેલી, સ્વામિનારાયણ મંદિર, મોદેશ્વર, સુર્યમુખી હનુમાન મંદિર, શનેશ્વર મંદિર થઇ તળાવકાંઠે મોટા હનુમાન મંદિરે ધ્વજા ચડાવી ધુન ભજન કરી પ્રાર્થના કરી વિનંતી કરશે તેમજ મોટાપીરની દરગાહ હઝરતશાહ બાબાની દરગાહ તથા વિવિધ દરગાહે ચાદર ચડાવી દુઆ માંગી મેઘરાજાની કૃપા થાય તે માટે પ્રાર્થના કરશે. હિન્દુ-મુસ્લિમ સમાજના ભાઇઓ મોટી સંખ્યામાં જોડાશે.