ખેડુતોના પ્રશ્નોને વાચા આપવા લોધીકા કોંગ્રેસની વિશાળ રેલી-ધરણા-રજુઆતઃ ૩૮ ગામોના આગેવાનો ઉમટી પડયા
રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાતના ખેડુતોના પ્રશ્નો હાલમાં વિકટ બન્યા છે. આડેધડ જમીન સંપાદન, વિજળી-પાણી-ખાતર-બિયારણના ભાવોમાં વધારો અને ખેત ઉત્પાદનના અપોષણક્ષમ ભાવો જેવી ખેડુતોની સમસ્યાઓથી સતાધારી સરકાર ખેડુતોથી મ્હો ફેરવી રહી છે. ત્યારે તંત્રને ઢંઢોળવા ગઇકાલે લોધીકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, સરપંચો અને ખેડુત આગેવાનો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી પાછળથી ધરણામાં પરીવર્તીત થઇ હતી. ખેડુતોના પ્રશ્ને સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. એક વિસ્તૃત આવેદન તાલુકા મામલતદારને પાઠવવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના સિનીયર આગેવાનો વિક્રમભાઇ કાંગશીયાળી, મેઘાભાઇ સવજીભાઇ પરમાર સહિત ૩૮ ગામોના કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા.(૪.૨)