સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત તાપ સાથે આકરો ઉનાળો
સવારથી જ અસહ્ય ઉકળાટથી લોકો પરેશાનઃ બપોરના સમયે ધોમધખતો તાપ
રાજકોટ તા. ૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચો ચડી જાય છે. જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. બપોરના સમયે આકરા તાપથી બચવા માટે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.
મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચો જતા લોકો અસહ્ય ઉકળાટથી ત્રાહીમામ પોકારી ગયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી, લઘુતમ ર૪, હવામાં ભેજ ૮૪ ટકા અને પવનની ઝડપ ૬.૮ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ સહિત સોરઠમા સવારથી સુર્યદેવતા ક્રોધિત થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
જુનાગઢમાં ગુરૂવારે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર રહ્યા બાદ આજે સવારે ર૧.૯ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે આકાશમાંથી અગ્નિ વર્ષા શરૂ થઇ ગઇ છે.
સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૬ કી.મી.ની રહી હતી.