સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

વિજયભાઇ મોરબીમાં : કોરોના કેસ વધતા સમીક્ષા

દર્દીઓને વધુ સુવિધા મળે તે માટે આદેશ : તાબડતોબ કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરવા માટે ચર્ચા-વિચારણા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૯ : મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કેસ વધતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મોરબી દોડી આવ્યા છે અને તંત્ર તથા ભાજપના આગેવાનો અને સંસ્થાઓના હોદ્દેદારો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

કોરોના દર્દીઓને વધુ સુવિધા મળે અને ટેસ્ટીંગ વધારવા માટે આદેશ આપવામાં આવ્યો છે.  આ ઉપરાંત કોરોનાનું સંક્રમણ તાબડતોબ અટકાવવા માટે પગલા ભરતા ચર્ચા-વિચારણા કરાઇ હતી.

મોરબી અને જિલ્લામાં કોરોના દર્દીઓને ભગવાન ભરોસે છોડી દીધાની છાપ ઉપસી હતી. કેમકે એક પણ મંત્રીએ અહીં દોડી આવવું જરૂરી નહોતું સમજ્યું અંતે, કહેર ખૂબ વધી જતા આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ચીફ સેક્રેટરી સહિતનો કાફલો સૌરાષ્ટ્ર આવ્યો છે. એકાદ દિવસ અગાઉ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને હવે અન્ય એક આગેવાન શુષ્ક કાર્યવાહી મુદ્દે મોરબી કલેકટરને તતડાવ્યાનો વિવાદ આજે બહાર આવ્યો હોઇ મોરબી શહેર - જિલ્લામાં કોરોનાને અંકુશમાં લેવા સરકાર હવે કોઇ ઠોસ કાર્યવાહી કરે તેવી શકયતા છે.

(12:54 pm IST)