સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

પોરબંદરમાં વેકસીન કેન્દ્રો ઉપર એકઠી થતી ભીડ કોરોના માટે સુપર સ્પ્રેડર બની શકે તેવો ભય

કોરોનાને આગળ વધતો અટકાવવા પગલા નહી લેવામાં આવે તો રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા આંદોલનની ચીમકી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૯: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ નિવેદનમાં જણાવ્યું છે કે પોરબંદર શહેર અને જીલ્લાના ગામડાઓને કોરોનાની બીમારીએ મોટો ભરડો લીધો છે વેકસીનના કેન્દ્રો અલગ-અલગ જગ્યાએ યોજીને મોટે પાયે ભીડ એકઠી કરવામાં આવે છે. આ ભીડ પણ સુપર સ્પ્રેડર બની શકે તેમ છે. કોરોના સંક્રમણને આગળ વધતુ રોકવામાં નહી આવે તો આંદોલનની ચીમકી રામદેવભાઇ મોઢવાડીયાએ ઉચ્ચારી છે.

અગ્રણી રામદેવભાઇએ જણાવેલ કે ગુજરાત સરકાર દ્વારા આંકડા ઓછા બતાવવાની રમત ભયજનક છે. અત્યારે આરટીપીસીઆરના રીપોર્ટ ખુબ જ ઓછા બતાવવામાં આવે છે. આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ હોય પરંતુ સીઆરપી રીપોર્ટ કોરોના સાથે મેચ થતો હોય છે અને સીટી સ્કેનના રીપોર્ટમાં પણ ફેફસાને ચેપીગ્રસ્ત બતાવતા હોય છે અને આ પ્રકારના દર્દીઓને કોરોનાની જ સારવાર આપવામાં આવતી હોય છે. આમ છતા આ પ્રકારના મોટી સંખ્યામાં રહેલા દર્દીઓને કોરોનાગ્રસ્ત તરીકે પેપર ઉપર સરકાર લેતી નથી અને આ પ્રકારના દર્દીઓ મૃત્યુ પામે તો પણ તેની અંતિમવિધી માટે તેના મૃતદેહને ઘરે લઇ જવાની છુટ આપવામાં આવે છે અને તેથી તેની અંતિમવિધિ અને મૃત્યુ પછીની લૌકીક ક્રિયાઓ સુપર સ્પ્રેડર બને છે.

ભાવસિંહજી હોસ્પીટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા અને આરટીપીસીઆર નેગેટીવ હોય એવા ૬ દર્દીઓ મૃત્યુ પામ્યા છે તેની અંતિમવિધિ માટે તેના મૃતદેહને ઘરે લઇ જવાની છુટ આપવામાં આવી હતી. જે સુપર-સ્પ્રેડર તરીકે આવનારા દિવસોમાં બહાર આવશે. પોરબંદરની એક માત્ર કોવીડ-ભાવસિંહજી હોસ્પીટલ અત્યારે દર્દીઓથી ઉભરાઇ રહી છે. અત્યારે આઇસોલેશન કમ આઇસીયુ ફુલ છે. જેમાં ૨૦ દર્દીઓ વેન્ટીલેર ઉપર છે. જયારે પ દર્દીઓ ઓકસીજન ઉપર છે અત્યારે આઇસીયુ ફુલ હોવાને કારણે સીરીયસ બની રહેલા દર્દીઓ આઇસીયુના અભાવે મોતના મુખમાં ધકેલાઇ રહયા છે.

ભાવસિંહજી હોસ્પીટલમાં જરૂરી દવાનો જથ્થો નહીવત છે અને રેમડેસીવર ઇન્જેકશનનો જથ્થો પણ દર્દીઓની સંખ્યાના પ્રમાણમાં ગઇકાલ બપોરની સ્થિતિએ રપ જેટલો હતો એટલે કે લગભગ નહીવત જેવો છે. અત્યારે ૨૦ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. પ દર્દીઓ ઓકસીજન ઉપર છે અને સેમી આઇસોલેશનમાં પ૧ જેટલા દર્દીઓ છે. આ બધા દર્દીઓ વચ્ચે ૧ મેડીકલ ઓફીસર અને પ પેરામેડીકલ સ્ટાફ હોય છે. દરેક એડમીશનની પ્રોસેસમાં ડોકટરને અડધો કલાક જતો હોય છે. તેથી એક ડોકટર ૭પ જેટલા ગંભીર દર્દીઓ વચ્ચે દર્દીઓને યોગ્ય ન્યાય આપી શકતા નથી અને સમયસર દર્દીઓનું મોનીટરીંગ કરી શકતા નથી. આ બાબતે ગુજરાત સરકારને રજુઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં આઇસીયુ બેડ વધારવાની તાત્કાલીક જરુર છે. ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને ખાનગી હોસ્પીટલોને કોવીડ હોસ્પીટલોમાં તાત્કાલીક ધોરણે ફેરવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે જરૂરી છે.

(12:50 pm IST)