વાંકાનેરનાં રણજીત વિલાસ પેલેસમાં મહારાજા સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાને શ્રધ્ધાંજલી અર્પણ
(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૯ :.. મહારાજા સ્વ. દિગ્વીજયસિંહ ઝાલાના કાલે રણજીત વિલાસ પેલેસ ખાતેના બેસણામાં મોટી સંખ્યામાં વાંકાનેર અને તાલુકાના તમામ જ્ઞાતિઓના આગેવાનો સાથે નાનામાં નાના લોકો આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને પોતાના સ્વ. દિગ્વીજયસિંહ ઝાલાની તસ્વીર સામે પ્રણામ તથા પુષ્પાંજલી સાથે હૃદયપૂર્વક અંજલીઓ વ્યકત કરી હતી.
આ પ્રસંગે તેઓના એકમાત્ર પુત્ર યુવરાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલા સાથે સમગ્ર ઝાલા પરિવારના તમામ સ્ટેટના માતબર અગ્રણીઓ આપ્તજનોએ જુના સંસ્મરણો વાગોળી સ્વ. ને શ્રધ્ધાંજલી વ્યકત કરી હતી. આ પ્રસંગે વાંકાનેર કેમ્બ્રીજ ઓટો વાળા પ્રદીપભાઇ શાહને ટેલીફોનિક શ્રધ્ધાંજલીઓ વિપુલ પ્રમાણમાં મળતા, માત્ર રાજયસ્તરે નહીં પણ દેશભરમાંથી રાજા-મહારાજાઓ, રાજકીય તથા સામાજિક લોકોએ પૂર્વ પર્યાવરણ મંત્રીને સ્મરણાંજલી વ્યકત કરતા તેઓએ આ બાબતોથી શ્રી કેશરીદેવસિંહને માહિતગાર કર્યા હતાં.
આ પ્રસંગે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય અને મોમીન કોમના પીર સૈયદ ખુરશીદ હૈદર પીરઝાદા તથા તેઓના પુત્ર શકીલ પીરઝાદા અને વાંકાનેર શાહબાવા ટ્રસ્ટના તમામ સભ્યો એટલે કે, મહંમદભાઇ રાઠોડ, મહંમદ હનીફ પરમાર, બશીરમીંયા કાદરી, ભાઇખાન બ્લોચ સહિના ટ્રસ્ટના સભ્યોએ સ્વ. ને શ્રધ્ધાંજલી વ્યકત કરી હતી.