લોકડાઉન વચ્ચે માનવતાની મહેક
કચ્છ પંથકમાં ૪૨ થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવી ચહેરા મલકાવ્યા
ભુજ, તા.૯: વર્તમાન લોકડાઉનના વચ્ચે પણ કચ્છમાં દાતાઓ અને સંસ્થાઓ જરૂરતમંદ લોકોને ઉપયોગી બની માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે. અત્યારે કચ્છ જિલ્લામાં થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી ૨૨૦ જેટલા પીડિત બાળદર્દીઓ અને તેમના પરિવારજનોની વ્હારે ભુજની સંસ્થાઓ અને દાતા આગળ આવ્યા છે.
આ અંગે 'અકિલા'ને માહિતી આપતા અમીષ મહેતાએ જણાવ્યું હતું કે, કચ્છના ગ્રામીણ વિસ્તરોમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સંખ્યા વધુ છે, ત્યારે આવા બાળકોને તેમના ગામથી ભુજ આવવા લઈ જવા માટે, તેમને લોહી ચડાવવા માટે ભુજની સક્ષમ સંસ્થા, વ્યકિતગત દાતાઓ ધવલ રાવલ, સચિન ઠકકર, ઉપરાંત લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારી અને અદાણી જીકે જનરલ હોસ્પિટલની બ્લડ બેંકની મદદથી વ્યવસ્થા ગોઠવાઈ છે. અત્યારે કોરોનાના કારણે લોહીની પણ અછત સર્જાઈ છે, ત્યારે સક્ષમ સંસ્થાના શીતલ શાહ, સાજીદ મેમણ, રાહુલ બારોટ, ઈશ્વર વાદ્યેલા વ્યકિત રીતે અલગ રકતદાતાઓનો કોન્ટેકટ કરીને રકતની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. અત્યાર સુધી થેલેસેમિયાગ્રસ્ત ૪૨ બાળકોને લોહી ચડાવાયું છે. હજીયે આ વ્યવસ્થા ચાલુ જ છે.