બજાર કરતા ર૦૦ રૂ. ઉંચા હોય ખેડૂતોનો ધસારો
દ્વારકા જિલ્લામાં ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ
ખંભાળીયા તા. ૯: ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઇ છે. જેમાં દેવભૂમિ જિલ્લામાં પણ ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે.
કલ્યાણપુરમાં ગૌશાળા ખાતે, ખંભાળિયા તથા ભાણવડમાં માર્કેટીંગ યાર્ડ ખાતે આ ખરીદીનો પ્રારંભ ગઇકાલે કરાયો હતો.
દ્વારકા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પ્રશાંતકુમાર મંગુડા તથા પુરવઠા વિભાગના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા તથા ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા આ અંગેની વ્યવસ્થા ગોઠવાઇ છે.
બજારમાં ૮ર૦ થી ૮૬૦ રૂ. મણના મળે છે જાણો ટેકાના ભાવની ખરીદીમાં ૧પ૦-૧૭૦ રૂ. જેટલા વધુ મળતા હોય ખેડૂતોનો ધસારો થયો હતો. ગઇકાલે ત્રણસો જેટલા ખેડૂતોએ આ ટેકાના ભાવે ખરીદીમાં તેમનો માલ વેચ્યો હતો.
દેવભૂમિ જિલ્લામાં દ્વારકા તાલુકામાં ૧૦૦ જેટલા જ ખેડૂતો હોય તેમના ખેડૂતો કલ્યાણપુર ટેકાના ભાવે માલ વેચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.