સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th March 2021

BAPS રાજકોટ મંદિરના પૂર્વ કોઠારી અને

૮ વર્ષથી જુનાગઢ મંદિરના મહંતપદે સેવા આપતા પૂ. યોગીસ્વરૂપ સ્વામી અક્ષરધામ સિધાવ્યા

રાજકોટઃ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લેનાર અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજના અતિ કૃપાપાત્ર અને સાધુતાએ સંપન્ન વડીલ સંત પૂ. યોગીસ્વરૂપ સ્વામી તા.૮ ને સોમવારે, સાંજે ૪:૩૦ કલાકે હાર્ટ એટેક આવવાને કારણે ૭૨ વર્ષની વયે ધામમાં પધાર્યા છે. પ.પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી અગ્નિસંસ્કાર વિધિ કોરોનાની પરિસ્થિતિને કારણે મહાતીર્થધામ અક્ષરમંદિર ગોંડલ મુકામે તા. ૯ ને મંગળવાર, સવારે ૧૧ થી ૧૨ અક્ષરઘાટ ખાતે કેવળ સંતોની સંનિધિમાં જ સંપન્ન થઈ હતી. 

 રાજકોટમાં શરૂઆતના સમયમાં ખૂબજ વિષમ પરિસ્થિતિમાં પણ ૩૮ વર્ષ સુધી સેવા કરીને શિખરબદ્ઘ મંદિરનું નિર્માણ કરી સત્સંગનો અનેરો વિકાસ કર્યો હતો. ત્યારબાદ છેલ્લા ૮ વર્ષથી જૂનાગઢ મંદિરમાં મહંત તરીકે સેવા આપી રહ્યા હતા. સેવા, સાદગી, સંયમ અને સમજણ જેવા અનેક ગુણોથી સંતો - ભકતોનો રાજીપો મેળવનાર આદર્શ સંતની વિદાયથી બી.એ.પી.એસ. સંસ્થાને બહુ મોટી ખોટ પડી છે. પ.પૂ. મહંતસ્વામી મહારાજે પણ તેઓની સેવા - ભકિતને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા છે.

(1:08 pm IST)