સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th March 2021

ધોરાજી કોર્ટ દ્વારા ચેકરિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની અને ૧૫ લાખનો દંડ ફટકાર્યો

ધોરાજી,તા. ૯: ધોરાજી કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસમાં બે વર્ષની સજા અને પંદર લાખ રૂપિયાનો દંડ કોર્ટે આરોપીને ફટકાર્યો હતો.

ધોરાજીના અગ્રણી બિલ્ડરે મિત્રને સહાય કરવા ૧૫ લાખ આપતા જે પૈસા પરત ન કરતા ધોરાજી કોર્ટમાં કેસ નોંધાયો હતો.

જેમાં અસીલ મનોજભાઈ રાઠોડ ના વકીલ અરવિંદભાઈ કાપડિયા એ માહિતી આપતા જણાવેલ કે, ધોરાજીના અગ્રણી બીલ્ડર મનોજભાઈ ઉર્ફે મુનાભાઈ પ્રવીણભાઈ રાઠોડ એ જૂનાગઢના દ્વારકેશ એગ્રો એન્ડ ફ્રુડ કંપનીના માલિક જીતેન્દ્રભાઈ બચુભાઈ વોરાને ધંધામાં નાણાકીય જરૂરિયાત ઊભી થતા મિત્રતાના નાતે રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પંદર લાખ પુરા હાથ ઉછીના આપેલા જે રકમની ચુકવણી પેટે આપેલ રૂપિયા પંદર લાખનો ચેક બેંકમાં જમા કરાવતા ચેક અપૂરતા ભંડોળના કારણે ચેક રિટર્ન થતા ફરિયાદીને તેની લેણી રકમ ચૂકતે વસૂલ ન મળતા ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮ મુજબ નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને રકમ ન ચુકવતા આરોપી સામે ધોરાજી કોર્ટમાં ધારાશાસ્ત્રી અરવિંદ જી. કાપડિયા મારફત ફરિયાદ દાખલ કરેલ.

આ ફરિયાદ ચાલી જતા ફરિયાદી તરફે વકીલ દ્વારા ઉચ્ચ અદાલતોના સિદ્ઘાંતો ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઈ ધોરાજીના મહેરબાન એડિશનલ. ચીફ.જયુડી. મેજિસ્ટ્રેટ, કે. સી. મઘનાની સાહેબ દ્વારા આરોપીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮ મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી આરોપીને બે વર્ષની કેદની સજા તથા રૂપિયા પંદર લાખનો દંડ તથા દંડની રકમ ન ચૂકવે તો વધુ ચાર માસ કેદની સજા તથા ફરિયાદીને રૂપિયા પંદર લાખ વળતર પેટે ચૂકવવા હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ફરિયાદ પક્ષે ધોરાજીના ધારાશાસ્ત્રી અરવિંદકુમાર જી. કાપડિયા તથા પાર્થકુમાર બી. ઠેસીયા રોકાયેલ હતાં.

(10:21 am IST)