સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

વાંકાનેરના જાલસીકા પાસે આહિર યુવક અને કોળી યુવતીનો ઝેર પી આપઘાતઃ પ્રેમ પ્રકરણની ચર્ચા

જનક લોખીલ અને જગુબેન કોળી ઘરેથી નાસી છુટયા'તાઃ બાદમાં બંન્નેની લાશ મળી

વાંકાનેર તા.૯: વાંકાનેરના જાલસીકા પાસે આહિર યુવક અને કોળી યુવતિના ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામના જનક દેવાયતભાઇ લોખીલ (આહિર, ઉ.વ.૨૮) અને જગુબેન કુંવરજીભાઇ બાવળીયા (કોળી, ઉ.વ.૨૧, રહે. વાંકવડ, તા.કુવાડવા)ના ઝેરી દવા પીધેલી હાલતમાં જાલસીકાના વિડી વિસ્તારમાં મચ્છુ-૧ નજીકથી મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહોને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પી.એસ.આઇ. વી.ડી.પરમાર અને સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઝેરી દવા પી લેનાર જનકભાઇ લોખીલ અને જગુબેન બાવળીયાની વાડી નજીકમાં જ હોવાથી બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને તેના કારણે બંનેએ ઝેરી દવા પી લીધી હોવાનું મનાય છે. આ બંને ૨૪ કલાક પહેલા ઘરેથી નાસી છૂટ્યા બાદ આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

તપાસનીશ અધિકારી પી.એસ.આઇ. વી.ડી.પરમારે જણાવ્યુ હતુ કે, પ્રાથમીક તપાસમાં બંન્ને વચ્ચે પ્રેમપ્રકરણ હોવાનું બહાર આવી રહ્યું છે બંન્નેના પરિવારજનોની પૂછતાછ બાદ સાયી હકિકત બહાર આવશે.

(11:39 am IST)