ભાવનગરમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બન્યો નથી
સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન
ભાવનગર,તા.૮ : યુપીએ સરકાર વખતે તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં દેશભરમાં વિવિધ રાજ્યોમાં ૬ અણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપવા માટે એમઓયુ થયા હતા. જેમાં ગુજરાતના ભાવનગર ખાતેના મીઠીવીરડી ન્યુક્લિયર પાવર કોર્પોરેશન મુંબઈ સાથે ગુજરાત સરકાર પણ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે એમઓયુ કર્યા હતા. પરંતુ વર્ષ ૨૦૧૧માં જાપાનમાં આવેલા ભયંકર સુનામીને કારણે દરિયા કિનારે આવેલા કુકુશિમા અણુપ્લાન્ટને મોટુ નુકસાન થવાથી ભારતમાં પણ દરિયા કિનારે સ્થપાનાર અણુપ્લાન્ટનો સ્થાનિકો દ્વારા વિરોધ થયો, જેમાં ગુજરાતના મીઠીવીરડીનો પણ સમાવેશ થયો હતો. આ જ કારણે મીઠીવીરડી ખાતે અણુઉર્જા પ્લાન્ટ શક્ય બન્યો નથી, તેમ આજે વિધાનસભા ગૃહમાં ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીઠીવીરડીના અણુ ઉર્જા પ્લાન્ટ અંગે પૂછાયેલા ધારાસભ્યના પ્રશ્નો ઉત્તર આપતાં જણાવ્યું હતું. રાજ્યમાં એકમાત્ર કાકરાપાર ખાતે ૪૪૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ કાર્યરત છે. કોઈપણ રાજ્યમાં રાજકીય ઈચ્છા શક્તિ વિના કોઈ પ્રોજેક્ટ શક્ય નથી તેના માટે આપણે સૌએ પક્ષાપછી છોડીને સાથે કામ કરવું પડશે, તેમ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ દ્વારા પુછેલા પૂરક પ્રશ્નો જવાબ આપતાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે ગૃહમાં પ્રશ્નોતરી કાળ વેળા કહ્યું હતું.