વાંકાનેરના જાલસીકા પાસે આહિર યુવક અને કોળી યુવતિના મૃતદેહ મળ્યાઃ પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા
વાંકાનેરઃ વાંકાનેરના જાલસીકા પાસે આહિર યુવક અને કોળી યુવતિના ઝેરી દવા પીધેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામના જનક દેવાયતભાઇ લોખીલ (આહિર, ઉ.વ.૨૮) અને જગુબેન કુંવરજીભાઇ બાવળીયા (કોળી, ઉ.વ.૨૧, રહે. વાંકવડ, તા. કુવાડવા)ના ઝેરી દવા પીધેલી હાલતમાં જાલસીકાના વિડી વિસ્તારમાં મચ્છુ-૧ નજીકથી મૃતદેહ મળી આવ્યા છે. મૃતદેહોને વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પી.અેસ.આઇ. વી.ડી. પરમાર અને સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઝેરી દવા પી લેનાર જનકભાઇ લોખીલ અને જગુબેન બાવળીયાની વાડી નજીકમાં જ હોવાથી બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને તેના કારણે બંનેઅે ઝેરી દવા પી લીધી હોવાનું મનાય છે. આ બંને ૨૪ કલાક પહેલા ઘરેથી નાસી છૂટ્યા બાદ આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.