ગારીયાધારના દલિત ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ અટકાયત કરાતા લોકો પોલીસની જીપ આડે સુઇ ગયા
ભાવનગર કલેકટર કચેરી ખાતે આત્મવિલોપનની કોશીષ કરનાર દલીત ખેડુતને પોલીસે ઝડપી લીધા હતા(તસ્વીર : મેઘના વિપુલ હિરાણી - ભાવનગર)
ભાવનગર, તા.૮ : કલેકટર કચેરી ખાતે આત્મવિલોપન કરવા આવેલા દલીત ખેડુતને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવથી દલીત સમાજનાં લોકોએ પોલીસની જીપ આડે સુઇ જઇ બાધા ઉત્પન કરી હતી.
ગારીયાધારમાં રહેતા દલીત ખેડુત હકાભાઇ નાથુભાઇ ગોહિલના ર૦૦ મણ ઘઉં સળગાવી દેવામાં આવ્યા હતા. આ અંગે હકાભાઇ એ પોલીસ ફરીયાદ કરી હતી. પણ કોઇ કાર્યવાહી ન થતાં હકાભાઇને થોડા દિવસ પહેલા કલેકટર કચેરીએ આવી આત્મવિલોપન ની ચીમકી આપી હતી.
આજે બપોરે આ દલીતખેડુત હકાભાઇ ભાવનગર કલેકટર કચેરીએ આવ્યા હતા અને આત્મવિલોપનની કોશીષ કરે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લઇ પોલીસવાનમાં બેસાડી દીધો હતો. આ સ્થળે ઉપસ્થિત અન્ય લોકોએ પોલીસગાડીમાં સુઇ જઇ પોલીસ કાર્યવાહી માં રૂકાવટ કરતાં ભારે તંગદીલી થઇ ગઇ હતી. આ બનાવમાં બે ની તબિયત લથડતાં તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવથી કલેકટર કચેરીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.