સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

કોડીનારમાં તબીબની બદલી સામે રોષ

સરકારી દવાખાનામાં માત્ર એક જ તબીબ ફરજ ઉપર

કોડીનાર તા. ૮ :.. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ગરીબ પછાત વર્ગના દર્દીઓ મોટી સંખ્યામાં કોડીનાર સરકારી દવાખાનામાં સારવાર અર્થે આવતા હોય ત્યારે પુરતા તબીબો ન હોવાથી દર્દીઓ ભારે હાલાકી ભોગળ રહ્યા છે. અને ના છૂટકે મોંઘીદાટ ખાનગી હોસ્પીટલોનો સહારો લેવો પડી રહ્યો છે. ત્યારે સરકારે ઉનાના ધારાસભ્યની માંગણી સંતોષવા કોડીનારના ડોકટરની ઉના ખાતે બદલી કરી દેતા 'પાડા નાં વાંકે પખાલી' ને ડામ જેવી સરકારની દોગલી નિતી સામે પ્રજાજનોમાં રોષની લાગણી ફેલાઇ છે.

ઉનાનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશે ઉનાની સીવીલ હોસ્પીટલમાં તબીબની નિમણુંક કરવા ઉપવાસ આંદોલન શરૂ કરતાં ગુજરાત સરકારે વંશ ન માંગણી સંતોષવા માટે કોડીનારનાં સીવીલ હોસ્પીટલનાં ડોકટર એન. કે. મિશ્રાની તાત્કાલીક અસરથી ઉના ખાતે બદલી કરી દઇ કોડીનારની પ્રજાને અન્યાય કર્યો છે.

સરકારી દવાખાનામાં માત્ર એક જ ડોકટર ફરજ બજાવી રહ્યા છે. જયારે ૧ ડોકટરની ઉના બદલી થઇ ચૂકી છે. સરકારી દવાખાનામાં દરરોજ ૩પ૦ થી ૪૦૦ ઓપીડીનાં કેસો આવે છે. તેમજ રોજનાં પ થી ૬ મારા મારીનાં કેસો, પોસ્ટ મોર્ટમ, નસબંધીના મહિને ૪૦ થી પ૦ ઓપરેશનો તેમજ દર મહિને ૪૦ જેટલા ડીલીવરીનાં ઓપરેશનો માત્ર ૧ જ ડોકટર સંભાળી રહ્યા હોય, આટલા મોટા કામનાં બોજા સ્થળ ફરજ પરનાં ડોકટરની હાલત પણ દયનીય બની છે. તેમજ કયારેક ઇમરજન્સી કેસોમાં અન્ય દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલ કોડીનાર સરકારી દવાખાનામાં ૩૦ બેડની વ્યવસ્થા છે. અને કોડીનાર સરકારી દવાખામાં સુંદર વ્યવસ્થા સાથે સંતોષકારક સારવાર દ્વારા દર્દીઓનું નિદાન થતુ હોય, દવાખાનામાં ઓપીડી કેસો સાથે નસબંધી અને ડીલીવરીનાં કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ડોકટરની અછતનાં કારણે ગરીબ દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉનાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય પુંજાભાઇ વંશે લોકોની આરોગ્યલક્ષી સુવિધા માટે ઉનામાં કાયમી ડોકટરની માંગ સાથે લડત શરૂ કરી ઉપવાસ આંદોલન કરતા તંત્ર દ્વારા કોડીનારનાં તબીબ ડો. એન. કે. મિશ્રાની ઉના ખાતે બદલી કરાતાં પુંજાભાઇ વંશના ઉપવાસ આંદોલને કોડીનારનો ભોગ લીધો છે, ત્યારે કોડીનારનાં કોંગી ધારાસભ્ય મોહનભાઇ વાળા પ્રજાની આરોગ્ય લક્ષી સમસ્યાઓનો કયારે અવાઝ ઉઠાવશે ? ઉનાની જેમ કોડીનારનાં ધારાસભ્ય પણ આ મુદ્ે કયારે લડતનાં મંડાણ કરશે ?

સામુહીક આરોગ્ય કેન્દ્રનાં ડોકટર એન. કે. મિશ્રા ની ઉના ખાતે બદલી થતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળવાની સાથે હાલ વાયરલ ઇન્ફેકશનને લીધે સવારથી જ દર્દીઓની લાંબી કતારો લાગે છે. ત્યારે ડો. મિશ્રા ને પરત કોડીનાર મુકતા અથવા તાત્કાલીક અસરથી બીજા ડોકટરની નિમણુક કરવા માંગ છે.

(11:34 am IST)