સોમનાથમાં હમીરસિંહજી સર્કલથી ત્રિવેણી સુધીના રોડ ઉપર ધુળની ઉડતી ડમરીઓ : મહાશિવરાત્રી પહેલા સાફસફાઇ જરૂરી
પ્રભાસપાટણ તા. ૯ : ત્રિવેણી સંગમની સફાઇની કામગીરી અંતર્ગત આધુનિક મશીનો દ્વારા પાણીમાંથી કચરો અને માટી કાઢવામાં આવે છે અને ટ્રેકટરો મારફતે મંદિરની બાજુમાં આવેલ ચોપાટીમાં નાખવામાં આવે છે. પરંતુ આ ટ્રેકટરોમાં જે માટી અને કચરો ભરીને લઇ જવામાં આવે છે તે ટ્રેકટરોમાંથી રોડ ઉપર પડતો જાય છે.
એકાદ કિલોમીટરનાં રોડ ઉપર માટી અને કચરો પડવાને કારણે રોડની હાલત ખુબજ ખરાબ થયેલ છે અને આ માટી જામી જવાને કારણે વાહનો ચાલે ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે અને રોડ ઉપર ચાલીને જવુ કે વાહન ચલાવવા મુશ્કેલ બનેલ છે. તાજેતરમાં શિવરાત્રી આવી રહેલ છે જેથી સોમનાથ મહાદેવનાં દર્શને મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ પધારવાનાં છે
સોમનાથ મંદિરનાં દર્શન બાદ યાત્રીકો ત્રિવેણી સંગમ, રામ મંદિર અને ગીતા મંદિરે જવા માટે આ ધૂળની ડમરીઓ વાળા રોડ ઉપરથી પસાર થવુ પડશે તો શિવરાત્રી પહેલા આ રોડ ઉપરની ગંદકી દૂર કરવી ખુબજ જરૂરી છે અને રોડને સાફ કરી અને પાણીથી ધોવો જરૂરી છે.