મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભુજમાં સત્કાર સમારંભમાં નવદંપતીને શુભઆશિષ પાઠવ્યા મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં દિલીપભાઇ ત્રિવેદી પરિવાર દ્વારા સૈનિક કલ્યાણ નિધિમાં રૂ. પાંચ લાખ અગ્યાર હજારનો ચેક અર્પણ
ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે ભુજ આવી કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઇ ત્રિવેદીના પુત્ર કવનના લગ્ન પ્રસંગે યોજાયેલા સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહીને નવદંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આજે ભુજ પાસે મીરઝાપર રોડ પાસે આવેલા ગ્રાઉન્ડ ખાતે આયોજિત સત્કાર સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતમાં ત્રિવેદી પરિવાર દ્વારા મા ભોમની રક્ષા કરતાં પ્રાણોની આહુતી આપનારા જવાનોના પરિવારજનોના કલ્યાણ માટેના સૈનિક કલ્યાણ નિધિમાં પાંચ લાખ અગ્યાર હજાર રૂપિયા અર્પણ કરાતાં કચ્છ કલેક્ટરશ્રી એમ. નાગરાજન દ્વારા ચેકનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી ડૉ. નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રવાસન નિગમના ડિરેક્ટરશ્રી કેશુભાઇ પટેલ, કચ્છ જિલ્લા ભાજપના અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહેમાનોએ નવદંપતિને શુભેચ્છા પાઠવી હતી.