સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 8th November 2019

ચલાલાનાં લોહાણા અગ્રણી રાજેશભાઇ વિઠ્ઠલાણીનું અવસાનઃ પુત્રી ખુશીએ અંતિમવિધિ કરી

ચલાલા, તા., ૮: અહીના લોહાણા મહાજનના અગ્રણી અને શ્રી આર.કે.એમ.એમ. હાઇસ્કુલના નિવૃત હેડ કલાર્ક શ્રી વનમાળી ભાઇ માધવજીભાઇ વિઠ્ઠલાણીના નાના પુત્ર શ્રી રાજેશભાઇ વિઠ્ઠલાણી (ઉ.વ.૪૯)નું  ટુંકી બીમારી બાદ ગઇકાલે ૭ને ગુરૂવારના ચલાલા મુકામે દુઃખદ અવસાન થતા ચલાલા શહેરમાં તમામ સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપેલ છે. સદગત રાજેશભાઇ વિઠ્ઠલાણી ચલાલા એમ.કે.સી. કન્યા વિદ્યાલયમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા તેઓ સરળ, શાંત અને લાગણીશીલ સ્વભાવના હતા. હંમેશા દરેક લોકોને ખુબ જ ઉપયોગી બનતા હતા. તેઓની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાયા હતા અને ભાવપુર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. તેઓને સંતાનમાં માત્ર એક જ ૧૬ વર્ષની પુત્રી ખુશી હોવાથી તેમની વ્હાલસોઇ પુત્રી ખુશીએ પોતાના વ્હાલસોયા પિતાની અર્થીને કાંધ આપીને અગ્નિદાહ આપી પવિત્ર ફરજ પુરી કરી ત્યારે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઇ હતી.

સદગત રાજેશભાઇ વિઠલાણી તેમના પિતાશ્રી અને તેના બન્ને ભાઇઓ હરેશભાઇ વિઠલાણી અને કમલેશભાઇ વિઠલાણી અને તેના બહેન તથા તેમના પત્ની અને પુત્રીને અને વિઠલાણી પરીવારને અચાનક વિલાપ કરતા છોડી જતા રહેતા વિઠ્ઠલાણી પરીવારમાં શોક છવાયો છે અને વિઠલાણી પરીવારમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

(1:01 pm IST)