News of Saturday, 8th September 2018
જેતપુરમાં માતા-પિતા અને ભાઇ સાથે પાંચ દિ' પહેલા દાઝેલા ૧૪ વર્ષના ધવલનું મોત
માતા મીનાબેન અપારનાથીનું પાંચમીએ મૃત્યુ થયું હતું: મૃતકના પિતા-ભાઇ સારવારમાં
રાજકોટ તા. ૮: જેતપુરમાં બસ સ્ટેશન પાસે સામે કાંઠે હનુમાનજી મંદિર પાસે રહેતાં બાવાજી પરિવારના પતિ-પત્નિ અને બે પુત્રો તા. ૩ના રોજ ગેસ લિકેજથી આગ લાગતાં દાઝી ગયા હતાં. જેમાં પત્નિનું સારવારમાં પાંચમી તારીખે મોત નિપજ્યું હતું. હવે સારવાર દરમિયાન એક પુત્રનું પણ મોત થયું છે.
મીનાબેન ઉમેશગીરી અપારનાથી (ઉ.૪૨) તા. ૩ના રોજ ગેસ પર ચા બનાવતાં હતાં ત્યારે બાટલો લિક થતાં આગ લાગતાં તેને ઠારવા જતાં પતિ ઉમેશગીરી ખીમગીરી અપારનાથી (ઉ.૪૫), પુત્રો ધવલ (ઉ.૧૪) અને અક્ષયગીરી (ઉ.૧૭) પણ દાઝયા હતાં. ચારેયને રાજકોટ સિવિલમાં ખસેડાયા હોઇ જેમાંથી મીનાબેનનું તા. ૫ના મોડી રાત્રે મોત નિપજ્યું હતું. ગત રાત્રે પુત્ર ધવલે પણ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૫)
(2:05 pm IST)