સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

પાલીતાણામાં ૬ લાખના દાગીનાની લૂંટ

ભાવનગર તા.૮: પાલીતાણામાં બસ સ્ટેન્ડ પાસે મેડિકલ સ્ટોર ધરાવતા દાવાના વેપારી હરેશભાઇ પ્રવિણભાઇ કચ્છી પાલીતાણાની મુખ્ય બજારમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં ગયા હતા. અને લોકર માંથી દાગીના ઉપાડયા બાદ થેલીમાં મુકી બે મીનીટ માટે ટેબલ ઉપર મુકી બેંકના કર્મચારી સાથે વાત કરી રહયા હતા.

ત્યારે તે દરમ્યાન આ ગણતરીની સેકન્ડોમાં જ કોઇ ગઠિયો રૂ.૬ લાખની કિંમતના દાગીના ભરેલ થેલી ઉઠાવી ને રફુચક્કર થઇ ગયો હતો.

પોતાની દાગીના ભરેલ થેલી જોવા ન મળતાં દવાના વેપારી હરેશભાઇએ દેકારો મચાવી દીધો હતો. આ સમગ્ર બનાવ બેંકના સીસીટીવી ફુટેજમાં હોય પોલીસે ફુટેજ મેળવી નાસી છુટેલા ગઠીયા ને ઝડપી  લેવા  તજવીજ હાથ ધરી છે. આ બનાવે પાલીતાણામાં ભારે ચકચાર જગાવી છે.

કુવામાં પડી જતા મોત

 ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં દિહોર ગામે રહેતા અરવિંદ સડપાભાઇ બારૈયા (ઉ.વ.૨૫) વાડીએ કુવામાં પડી જતાં તેનું મોત નિપજયું હતું.(૧.૧૫)

(12:16 pm IST)