સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

જડેશ્વર મહાદેવ ખાતે લોકમેળો

કોરોનાના લાંબા અંતરાલ બાદ મેળો મહાલવા જનમેદની ઉમટી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૮: પરંપરાગત લોક મેળાને ખુલ્લો મુક્યો હતો. કોરોનાના લાંબા અંતરાલ બાદ મેળો યોજાતા મેળો મહાલવાનો આનંદ લેવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. પરંપરાગત જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળો ખુલ્લો મુકતા કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટ મંત્રી રઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત મેળો ખુલ્લો મુકતા ધન્યતા અનુભવું છું. કોરોના કાળ પછી બે વર્ષના વિરામ બાદ હવે ફરી સૌરાષ્ટ્રમાં લોક મેળા યોજાઇ રહ્યા છે. જડેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરી તેમણે જણાવ્યું હતું કે, જામ રાવળના વંશજો આજે પણ આ મંદિર તેમજ વિસ્તારના વિકાસમાં સહભાગી થતા રહે છે. સંસ્કૃતિ અને ધર્મને ટકાવી રાખવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એ કરેલા કામથી વિવિધ ધાર્મિક ક્ષેત્રોની કાયાપલટ થઈ છે. આ તકે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, આપણી પરંપરાગત સંસ્કૃતિના પ્રતિબિંબ સમો આ લોક મેળો ઘણા વર્ષોથી યોજાઇ રહ્યો છે. આ તકે રાજ્યમંત્રીએ લોક મેળામાં તમામ રાઈડ્સ બાબતે સાવચેતી રાખવા અપીલ કરી હતી તેમજ આ લોકમેળો કોઈ પણ વિઘ્ન વિના સફળ બને તે માટે મહાદેવને પ્રાથના કરી હતી. આ પ્રસંગે પવિત્ર શ્રાવણ માસમાં જડેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ બ્રિજેશભાઈ મેરજાએ ગાય માતા પર આવેલા વિઘ્ન એવા લમ્પી વાયરસ માંથી ગૌધનને ઉગારવા અને આ રોગ નાબૂદ કરવા માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કોઠારીયા પ્રાથમિક શાળાની બાળાઓએ શિવ તાંડવ નૃત્ય તેમજ દેશભકિત નાટક રજૂ કર્યું હતું. આ કાર્યકમમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા,વાંકાનેર પ્રાંત અધિકારી શેરશીયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર ઝાલા, મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલાજી મહારાજ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, અગ્રણી દુર્લભજીભાઈ દેથરિયા, સંત જીતેન્દ્ર પ્રસાદ, ટ્રસ્ટી કિશોરસિંહ તેમજ સ્થાનિક અગ્રણીઓ અને આસપાસ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

(1:16 pm IST)