પોરબંદરમાં લમ્પીગ્રસ્ત ગાયોના મૃતદેહોના નિકાલ કરવામાં નગરપાલીકાની બેદરકારી : જાવર પાસે ૮૦૦ મૃત ગાયોના ઢગલા
જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઇ પરમાર સહીત આગેવાનો દોડી ગયાઃ જાવર પાસેની સોસાયટીઓમાં રોગચાળો ફાટી નીકળવાનો ભયઃ ભાજપ શાસીત પાલીકા સામે રોષ
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૮: શહેર નજીક જાવર ગામ દરીયાકાંઠે ઠેર ઠેર લમ્પી વાયરસથી મૃત્યુ થયેલી અંદાજે ૮૦૦ જેટલી ગાયોના મૃતદેહ મળી આવતા જાવરની પાસે સોસાયટીઓમાં રોગચાળો ફાટી નિકળવાનો ભય તોળાઇ રહેલ છે.
જાવરમાં લમ્પીગ્રસ્ત ગાયોના મૃતદેહો રઝળતા હોવાની જાણ થતા જિલ્લા યવા કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઇ પરમાર સહીત કોંગ્રેસના આગેવાનો સ્થળ ઉપર દોડી જઇને નિરીક્ષણ કરતા નગર પાલીકા દ્વારા લમ્પીથી મૃત્યુ થયેલ ગાયોના મૃતદેહોના યોગ્ય જગ્યા એનિકાલ કરવાને બદલે જાવર નજીક મૃતદેહો નાખી દીધા છે. જેના કારણે જાવરની બાજુમાં સોસાયટીમાં રહેતા લોકોમાં રોગચાળાનો ભય ઉભો થયો છે. યુથ કોંગ્રેસના આગેવાનોએ લમ્પીગ્રસ્ત મૃત ગાયોના મૃતદેહોના નિકાલમાં બેદરકારી સામે ભાજપ શાસીત નગર પાલીકા સતાવાળાઓ સામે રોષ વ્યકત કર્યો છે.