કેશોદનાં યુવકનાં જેલમાં મોત અંગે પોલીસ સામે પરીવારજનોના આક્ષેપ
જુનાગઢ, તા., ૮: દારૂના કેસમાં જેલમાં આવેલા કેસોના એક યુવાનનું ભેદી મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે.
કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં રહેતા હાસમ ઇકબાલખાન પઠાણ નામનો યુવાન દેશી દારૂ સાથે પકડાયો હતો. આથી તેને ત્રણ દિવસ પહેલા જુનાગઢ જેલમાં લાવવામાં આવ્યો હતો. મંગળવારે આ યુવાન બીમાર થતા તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ગઇકાલે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયું હતું.
મૃતક યુવાનના પરીવારજનોએ તેનું મોત મારના કારણે થયાનો આક્ષેપ કર્યો હતો. જો કે જેલ તંત્રના જણાવ્યા મુજબ હાસમ પઠાણ બીમાર થતા સારવારમાં ખસેડાયો હતો ત્યાં તેનું મોત થયું હતું. જેલમાં માર મારવાની કોઇ ઘટના બની ન હોવાનું જેલ સતાવાળાઓએ જણાવ્યું હતું. એ ડીવીઝનના પીએસઆઇ એ.એલ. બારસીયાએ યુવાનના મૃતદેહને જામનગર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે.