ટંકારા પાસે ગાય સાથે રીક્ષા અથડાઇને પલ્ટી ખાઇ ગઇઃ જામનગરના માવજીભાઇનું મોત
વણકર પ્રોઢ ધ્રાંગધ્રા માતાજીના દર્શન કરી પરત આવતા'તા
રાજકોટ તા.૮: ધ્રાંગધ્રા માતાજીના દર્શન કરી પરત જતી વખતે ટંકારા પાસે રીક્ષા ગાય સાથે અથડાઇને પલ્ટી જતા તેમાં બેઠેલા જામનગર ના વણકર પ્રોૈઢનું ઇજા થતા તેનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
મળતી વિગત મુજબ જામનગર શંકર ટેકરી પાસે સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા માવજીભાઇ ખીમજીભાઇ રાઠોડ (ઉ.વ.૫૧) ચાર દિવસ પહેલા ધ્રાંગધ્રા માતાજીના દર્શન કરવા માટે ગયા હતા, દર્શન કરી રીક્ષામાં બેસી પરત જામનગર જતા હતા ત્યારે ટંકારા પાસે ગાય સાથે રીક્ષા ભટકાતા પલ્ટી ખાઇ જતા તેને માથામાં ઇજા થતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક માવજીભાઇને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તે કડિયા કામ કરતા હતા, વણકર પ્રોૈઢના મોતથી વણકર પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. બોધાભાઇ તથા રાઇટર મહિપાલસિંહે પ્રાથમિક કાગળો કરી ટંકારા મોકલવા તજવીજ હાથ ધરી છે.