નવાગઢમાં ઉદય ચાલુ ટ્રેનમાં ચડવા જતાં પટકાયોઃ બંને પગ કપાઇ ગયા
સિંધી યુવાન જુનાગઢ મામાના ઘરે જવા નીકળ્યો'તોઃ રાજકોટ ખસેડાયો
રાજકોટ તા. ૮: જેતપુરના કણકીયા પ્લોટમાં રહેતો સિંધી યુવાન ઉદય હરેશભાઇ જુમાણી (ઉ.૨૧) સાંજે નવાગઢ રેલ્વે સ્ટેશને ચાલુ ટ્રેનમાં ચડવા જતાં પડી જતાં બંને પગ ગોઠણ નીચેના ભાગેથી કપાઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
ઉદય જુમાણી બે ભાઇમાં નાનો છે અને સાડીની દુકાનમાં કામ કરે છે. સાંજે તેને જુનાગઢ મામાના ઘરે જવું હોઇ ઘરેથી નવાગઢ રેલ્વે સ્ટેશને પહોંચ્યો હતો. પણ ટ્રેન ઉપડી ગઇ હોઇ તેણે દોટ મુકી હતી. ચાલુ ટ્રેનમાં ચડવા જતાં લપસી પડતાં બંને પગ ટ્રેન નીચે આવી જતાં કપાઇ ગયા હતાં. જેતપુર સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ રેલ્વે પોલીસને જાણ કરી છે. ઉદયના પિતા પણ તેની સાથે જ કામ કરે છે. યુવાન દિકરાના બંને પગ કપાઇ જતાં પરિવારજનો ચિંતામાં ગરક થઇ ગયા છે.(૧૪.૬)