હળવદના નવા અમરાપર ગામે પાણી પીવા જતા ૩૨ ભેંસ પાણીમાં ખાબકી
(દીપક જાની દ્વારા) હળવદ, તા.૮: તાલુકાના નવા અમરાપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી પીવા જતાં એકાએક ૩૨ જેટલી ભેંસો પાણીમાં ગરકાવ થઇ જતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જો કે ખરા સમયે આજુબાજુના ગામના લોકો કેનાલના કાંઠે દોડી આવતા મહામહેનતે ભેંસોને બહાર કાઢી તેના જીવ બચાવી લેવાયા છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના બોરડી ગામે રહેતા ગોવિંદભાઇ ભરવાડ આજે તેઓની ભેંસોને લઇને ચરાવવા માટે જઈ રહ્યા હતા. ત્યારે નવા અમરાપર પાસેની નર્મદા કેનાલ કે જયાં એક બાજુની સાઈડમાં આરસીસી ન કરેલ હોય. જેથી, ભેંસો કેનાલમાં પાણી પીવા ઉતરતા એક બાદ એમ કુલ ૩૨ જેટલી ભેંસો પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જેથી, ગોવિંદભાઈ દ્વારા બૂમાબૂમ કરાતાં આજુબાજુના ગામના લોકો કેનાલ ખાતે દોડી આવ્યા હતા.