કચ્છના મુસ્લિમ સમાજના ધર્મગુરૂ મુકતીએ કચ્છ હઝરત સૈયદ અલ્હાજ હાજી અમદશા બાવાનું દુઃખદ નિધન : લોકોમાં શોકનું મોજ
શાંતિદૂત મુફતી એ કચ્છના નિધનથી કચ્છે એક સાચા રાહબર ગુમાવ્યા : કોમી એકતાના હિમાયતી : મુસ્લિમ સમાજમાં શિક્ષણની જ્યોત પ્રસરાવનાર
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : કચ્છના મુસ્લિમ સમાજના ધર્મગુરુ મુફતી એ કચ્છ હઝરત સૈયદ અલ્હાજ હાજી અહેમદશા બાવાનું મોડી રાત્રે દુઃખદ નિધન થયું છે. ૯૭ વર્ષીય મુફતી એ કચ્છ હઝરત સૈયદ અલ્હાજ હાજી અહેમદશા બાવાના નિધનથી સમગ્ર કચ્છ જિલ્લાએ એક સાચા રાહબર ગુમાવ્યા છે. કચ્છની કોમી એકતાના હિમાયતી મુફતી એ કચ્છ ખરા અર્થમાં શાંતિદૂત હતા.
પોતાના જીવનમાં ધાર્મિક અનુશાસન સાથેની તેમની સાદગીભરી જીવનશૈલી સમસ્ત સમાજ માટે પ્રેરણારૂપ હતી. તેઓ શિક્ષણના પ્રખર હિમાયતી હતા. કચ્છના મુસ્લિમ સમાજના ઉત્કર્ષ માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.
મૂળ વિંઝાણ (અબડાસા) ના વતની હતા અને છેલ્લા ૫૮ વર્ષ થી માંડવી ને પોતાનું વતન બનાવ્યું હતું. આજે સવારે જ તેમની ઈચ્છા મુજબ તેમની માતાની કબરની બાજુમાં તેમને સૂપુર્દે ખાક કરાયા હોવાનું કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમાભાઈ રાયમાએ જણાવ્યું હતું. કચ્છ અને કચ્છ બહાર વસતા મુસ્લિમ સમાજની સાથે હિન્દુ સમાજમાં પણ તેમની ખૂબ જ સારી લોકચાહના હતી.