જુનાગઢમાં કોરોનાનો કહેર,વધુ ર૧ પોઝીટીવ કેસ નોંધાયા
મજેવડી ગામમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૮: જુનાગઢમાં કોરોનાનો કહેર યથાવત રહેતા વધુ ર૧ પોઝિટીવ કેસ નોંધાયા છે.
જુનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. બુધવારે વધુ ૪૩ વ્યકિત સંક્રમિત થઇ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
નવા ૪૩ કેસમાં જુનાગઢ સીટીનાં ર૧ કેસ, કેશોદ, માણાવદર અને જૂનાગઢ તાલુકામાં ૪-૪ કેસ, માળીયા તથા વંથલીમાં ૩-૩ કેસ અને મેંદરડા તેમજ વિસાવદર તાલુકાનાં બે-બે કેસનો સમાવેશ થાય છે.
જોકે ૧૭ દર્દી સ્વસ્થ થતાં તેમને સારવારમાંથી મુકિત આપવામાં આવી હતી. બીજી તરફ જુનાગઢમાં ગલઇકાલે ૧,૦૦૭ વ્યકિતને અને ગ્રામ્યમાં ૩૩૧૭ લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.
દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના બેફામ થયો છે. જુનાગઢનાં મજેવડી ગામમાં સાત દિવસમાં ૭૦ કેસ થતા ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.