સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

મોરબીમાં રાત્રી કફર્યુ અંગે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ બહાર પડાયું

રાજય સરકારના નિર્ણય અનુસાર રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કફર્યુ

મોરબી તા.૮ : કોરોના સંક્રમણ ને ધ્યાને લઇ હાલની પરિસ્થિતિને અનુસંધાને રાજય સરકારના નિર્ણય અનુસાર મોરબી જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ દ્વારા સરકારની ગાઈડલાઈનને અનુસરવા મોરબી શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા તા.૦૭/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી દરરોજ રાત્રીના ૮ૅં૦૦ કલાક થી સવારના ૦૬ૅં૦૦ કલાક સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહે તે અંગેનું જાહેરનામું પાડ્યું છે. જાહેરનામા અનુસાર તા.૧૦/૦૪/૨૦૨૧ થી લગ્ન / સત્કાર સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વધુ વ્યકતીઓ એકઠા કરી શકશે નહીં. આ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે.

મોરબી શહેર વિસ્તારમાં કરફ્યુના સમયના કલાકો દરમિયાન લગ્ન સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહીં. મોરબી માં તા.૦૭/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી રાજકીય, સામાજીક અને અન્ય મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મોરબીમાં કોઈ પણ ગેધરિંગમાં ૫૦ થી વધુ વ્યકતીઓ એકત્ર થઈ શકશે નહીં , આ ગેધરિંગ દરમિયાન કોવિડ સંબંધિત અન્ય માર્ગદર્શક સૂચનાઓ યથાવત રહેશે. મોરબી જિલ્લાની તમામ ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ (એ.પી.એમ.સી.) પણ કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

મોરબી જિલ્લામાં તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી તમામ કચેરીઓ તમામ શનિવાર-રવિવાર બંધ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબ જ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે. કેન્દ્રીય મંત્રાલયો/ રાજય સરકારના મંત્રાલયોના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સૂચનાઓ આખરી રહેશે અને તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે. આ જાહેરનામાનું અમલીકરણ તમામે કરવાનું રહેશે.

(11:44 am IST)