વિરનગર કોવિડ કેર સેન્ટરમાં ઓકિસજન સુવિધા ઉભી કરવા કુંવરજીભાઇ બાવળીયાનો આદેશ
જસદણ-વિરનગર-(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૮: જસદણ પંથકમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે ત્યારે વિરનગર કોવિડ કેર સેન્ટરમાં ઓકસીજનની સુવિધા ઉભી કરવા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કલેકટરને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી છે.
જસદણ પંથકમાં કોરોનાએ કહેર વર્તાવાનું શરૂ કરી દીધુ છે ત્યારે જસદણમાં હાલ સરકારી દવાખાને ૨૪ બેડની સુવિધા છે જે છેલ્લા ચાર-પાંચ દિવસથી ભરાય ગઇ છે. જેથી તંત્ર દ્વારા વિરનગર ખાતે ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટર ફરી કાર્યરત કરી ત્યાં પણ દર્દીઓને દાખલ કર્યા છે.
આગામી દિવસોમાં કેસો વધવા લાગ્યા હોય વિરનગર ખાતેના કોવિડ કેર સેન્ટરમાં ઓકિસજનનું સુવિધા ઉભી કરવા નિઃસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલ સંઘવીએ કુંવરજીભાઇ બાવળીયાને જાણ કરતા કુંવરજીભાઇ બાવળીયાએ જીલ્લા કલેકટર અને જસદણ પ્રાંત અધિકારીને ઘટતુ કરવા ભલામણ કરી છે.
જો કે હાલ જસદણનાં બે ખાનગી દવાખાને ૫-૫ બેડ ઓકસીજન સાથે ચાલુ થઇ ગયા છે અને આગામી દિવસોમાં બીજા ૨૦ બેડ ઓકસીજન સાથે ચાલુ થઇ જશે તેવુ જસદણનાં પ્રાંત અધિકારી ગલ્ચરે જણાવ્યુ હતું.