ભાવનગર પંથકમાં પ્રેમીપંખીડાનો આપઘાત
મહુવાના ધરાઇમાં વિજ પોલ સાથે લટકીને જીવ દેતા અરેરાટી
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૮ : ભાવનગર પંથકમાં પ્રેમી યુગલે વીજપોલ સાથે લટકી સજોડે આપઘાત વહોરી લીધો હતો.
બનાવની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધરાઇ ગામે બગદાણા રોડ પર પીજીવીસીએલના પોલ સાથે દોરડાથી ફાંસો બાંધી યુવક અને યુવતિએ સજોડે આત્મહત્યા વહોરી લીધી હતી.
બનાવની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે દોડી ગઇ હતી. મૃતક યુવાન સરતાનપર ગામે રહેતા કરણ ભદુરભાઇ બારૈયા (ઉ.૨૦) અને યુવતી ગટુલા ગામે રહેતી કિંજલબેન શાંતિભાઇ બાંભણીયા (ઉ.વ.૧૯) હોવાનું ખુલવા પામ્યું છે. બંને વચ્ચે પ્રેમસંબંધો હતા અને તેમના આ સબંધને સમાજ નહિ સ્વીકારે અને એક થવા નહિ દે તેમ વિચારી બન્ને પોતપોતાના ઘરેથી નીકળી ધરાઇ ગામની સીમમાં આવેલ વીજ પોલ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. આ અંગે બગદાણા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.