સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th April 2021

7 એપ્રિલ : મોરબી જિલ્લામાં કોરોના હજુ પણ બેકાબુ, આજે વધુ પાંચ દર્દીના મૃત્યું

ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતિની વચ્ચે આજે પણ સરકારી ચોપડે માત્ર 31 કેસ જ દર્શાવ્યા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3816 કેસમાંથી 3300 સાજા થયા, જ્યારે આજે વધુ પાંચ દર્દીના મૃત્યુ સાથે કુલ 238ના મોત, એક્ટિવ કેસ વધીને 278 થયા

મોરબી : મોરબી જિલ્લા કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. આજે 7 એપ્રિલ, બુધવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 3070 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ 31 વ્યક્તિના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.
જ્યારે આજે મોરબી જિલ્લામાં વધુ પાંચ કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે સરકાર દ્વારા સત્તાવાર આજે પણ મોરબી જિલ્લામાં એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી.

(12:03 am IST)