સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th March 2021

હળવદ જીઆઇડીસીમાં ઘાસ સળગાવતા સાત ઝુંપડા ભસ્મીભૂત

શ્રમિક પરિવાર મીઠાના કારખાનામાં કામે ગયો હોવાથી જાનહાની ટળી : મરણમૂડી સ્વાહા

(દિપક જાની દ્વારા)હળવદ,તા. ૮: જીઆઇડીસી વિસ્તારમાં કેટલાક મજૂરો ઝુંપડા બાંધીને રહી મીઠાની મજૂરી કામ કરે છે ત્યારે આ ઝૂંપટપટ્ટીમાં રહેતા મજૂરો મીઠાનું મજૂરી કરવા ગયા હતા.ત્યારે પાછળથી જીઇબીના કોન્ટ્રાકટરે હળવદના જીઆઇડીસી વિસ્તારમાં વીજ સબ સ્ટેશન પાસે ઘાસ સળગાવ્યું હતું. આથી આ આગનો તણખલો બાજુની ઝૂંપટપટ્ટીમાં પડતા જ ઝુંપડા ભડભડ સળગવા લાગ્યા હતા.આ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા સાતેક ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા.

આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઝૂંપડામાં લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગ કાબુમાં આવે તે પહેલાં તમામ ઘરવખરી આગમાં નાશ પામતા શ્રમિકોનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું.શ્રમિક મહિલાઓએ થોડા ઘણા બચાવીને રાખેલા રૂપિયા અને દર દાગીના સહિત તમામ ઘરવખરી આગમાં બળીને ભસ્મીભૂત થઈ જતા રાડારાડી કરી મૂકી હતી.

(12:14 pm IST)