સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th February 2023

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાશે ત્રિદિવસીય શબ્દશાળા કાર્યાલય

પ્રભાસ પાટણ:શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનાં વ્યાકરણ વિભાગ દ્વારા તારીખ ૦૮/૦૨/ ૨૦૨૩ થી ૧૦/૦૨/૨૦૨૩ સુધી શબ્દશાળા કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન ૦૮/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦: ૦૦ કલાકે પ્રભાસ જ્યોતિ શૈક્ષણિક ભવનનાં સભાગૃહમાં થયું હતું. જેમાં મુખ્યઅતિથિ તરીકે કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. ગોપબંધુ મિશ્ર અને વિશિષ્ટાતિથિ તરીકે સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય પ્રશિક્ષણ પ્રમુખ ડૉ. એચ. આર. વિશ્વાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમનાં પ્રેરણાસ્ત્રોત અને અધ્યક્ષ અત્રેની વિશ્વવિદ્યાલયના પ્રભારી કુલપતિ ડૉ. લલિતકુમાર પટેલ અને આ કાર્યશાળાનાં આમંત્રક અત્રેની વિશ્વવિદ્યાલયના કુલસચિવ ડૉ. દશરથ જાદવ છે. આ કાર્યશાળામાં વિશ્વવિદ્યાલય પરિસર અને વિશ્વવિદ્યાલય સંલગ્ન મહાવિદ્યાલયોના ૫૦ પ્રશિક્ષણાર્થી ભાગ લેશે.

ત્રિ-દિવસીય કાર્યશાળામાં ઉદ્ઘાટન અને સમાપન સત્ર સિવાયના ૧૦ સત્રોનું આયોજન કરવામાં આવશે. જેમાં વિભિન્ન ક્ષેત્રોમાં વપરાતા આધુનિક શબ્દો માટે સંસ્કૃત શબ્દો ઉપલબ્ધ નથી તેવા શબ્દોનું વ્યાકરણ પદ્ધતિથી નિર્માણ કઈ રીતે થઈ શકે તેનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આ કાર્યક્રમના સંયોજક પ્રો. વિનોદ કુમાર ઝા અને ડૉ. વિદુષી બોલ્લા છે અને સહસંયોજક રવિ રાદડિયા છે.

(11:09 pm IST)