જૂનાગઢમાં પાણી વેરા વધારા સામે ભાજપના જ પાંચ કોર્પોરેટરોનો વિરોધ
રૂ. ૧૨૦૦નો પાણી વેરો કરાતા જનાક્રોશ
જૂનાગઢ, તા. ૮ :. જૂનાગઢ મનપાના બજેટમાં પાણી વેરો વધારો ઝીંકવામાં આવતા તેની સામે ભાજપના જ પાંચ કોર્પોરેટરોએ વિરોધ નોંધાવીને વધારો પરત ખેંચી લેવા માંગણી કરી છે.
મનપાના બજેટમાં કમિશ્નરે પાણી વેરો રૂ. ૭૦૦માંથી રૂ. ૧૫૦૦ કરવાનું સૂચન કરેલ. જેમાં તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટીએ બજેટમાં પાણી વેરો ૭૦૦માંથી વધારીને રૂ. ૧૨૦૦નો કરી દીધો હતો.
ભાજપની સંકલન સમિતિની મીટીંગમાં જ ભાજપના જ નગર સેવકોએ પાણી વેરા વધારા સામે વિરોધ કર્યો હતો.
મનપાનું બજેટ જનરલ બોર્ડ સમક્ષ ટૂંક સમયમાં રજુ થવાનું છે ત્યારે તોતીંગ પાણી વેરા વધારા સામે જનાક્રોશ ફાટી નીકળ્યો છે. ભાજપના કોર્પોરેટરો દિવાળીબેન પરમાર, આરતીબેન જોશી, હિતેન્દ્રભાઈ ઉદાણી, પલ્લવીબેન ઠાકર અને ચેતનાબેન ચુડાસા સહિત પાંચ કોર્પોરેટરોએ પાણી વેરા વધારાનો વિરોધ કરી પાછો ખેંચી લેવા માંગ કરેલ છે.
ગઈકાલે વોર્ડ નં. ૯, ૧૦ અને ૧૧ની મહિલાઓ સતિના લોકોએ ડે. મેયર હિમાંશુભાઈ પંડયાને આવેદનપત્ર આપીને પાણી વેરા વધારો પાછો ખેંચી લેવા રજૂઆત કરી હતી.
આ રજૂઆત સંદર્ભે ડે. મેયર શ્રી પંડયાએ આ મામલે બેઠકમાં નિર્ણય લેવાશે કે શું કરવું ? તેમ જણાવ્યુ હતું.