સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th February 2020

ભાવનગરમાં નંદાલય હવેલીએ કાલે વૈષ્ણવાચાર્ય પુ.આનંદ બાવાશ્રીના બેટીજીનો શુભ સગાઇ પ્રસ્તાવ

ભાવનગર, તા.૮: ભાવનગરના સમસ્ત વૈષ્ણવ સમાજ માટે પરમ સૌભાગ્યના સમાચાર છે કે આગામી ૯ ફેબ્રુઆરી રવિવારે સરદારનગર સ્થિત નંદાલય હવેલી પર બિરાજતા પુ.પા. ગો.૧૦૮ની નવનીતલાલજી મહારાજશ્રીના પૌત્રી તથા પૂ.પા.ગો.૧૦૮ શ્રી આનંદ બાવાશ્રીના બેટીજી પૂ.રાધિકા બેટીજીના સગાઇ પ્રસ્તાવનો શુભ અવસર સુનિશ્ચિત થયો છે.

આ શુભ અવસર પર સમસ્ત વલ્લભકુલ પંચમ ઘર આચાર્ય પરિવાર અત્રે પધારશે.

આ નિમિત્તે શ્રીછબીલાજી પ્રભુના વિવિધ મનોરથનું આયોજન થયેલ છે જેના અંતર્ગત શુક્રવાર સાંજે ૭ વાગે વિવાહ ખેલ મનોરથ, શનિવારે સવારે ૧૦ વાગે કુંડવારો મનોરથ તથા સાંજે ૬ વાગે લાલઘટા મનોરથ દર્શન થશે.

૯ ફેબ્રુઆરી રવિવારે સાંજે ૬ વાગે શ્રી છબિલજી પ્રભુ સન્મુખ પૂ.રાધિકા બેટીજીના સગાઇ પ્રસ્તાવ રસીયા ફુલફાગ મનોરથ તેમજ બહેનોના રાસ થશે ત્યારબાદ પૂ.રાધિકાબેટીજીને શુભ મંગલ કામના આપવાનો લાભ સર્વે વૈષ્ણવોને મળશે.

આ શુભ પ્રસંગમાં જોડાવા સર્વ વૈષ્ણવોને નંદાલય હવેલી પ્રસ્તાવ સમિતિ વતી હાર્દિક આમંત્રણ પાઠવાયુ છે.

(11:46 am IST)