સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

કચ્છમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન હાથ ધરાશે

મકસંક્રાંતિના દિવસે પતંગના દોરીથી ધાયલ થતા પક્ષીઓની સારવાર માટે વનવિભાગ જીવદયા સંસ્થા. એનજીઓની મદદથી કરૂણા અભિયાન સુદ્રઢ બનાવવા જિલ્લા કલેકટર પ્રવિણા ડીકેનો અધિકારીઓની બેઠકમાં નિર્ણય : પીજીવીસીએલ ટીમ સતર્ક રહેશે. વિદ્યાર્થીઓ ચોપાંનિયા દ્વારા જનજાગૃતિ ઉભી કરવા પ્રયાસો કરશે.: પોલીસને ચાઇનીઝ દોરાની વેચાણ સામે કડક પગલા ભરવાનો આદેશ

ભુજ,તા.૮: ભુજ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષપદે ગઇકાલે તેઓની ચેમ્બરમાં રાજય સરકારે નકકી કરેલા કરૂણા-અભિયાન અંતર્ગત કચ્છમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન સમગ્ર કચ્છમાં કરૂણા અભિયાન હાથ ધરીને પતંગની દોરીથી પક્ષીઓનાં મૃત્યુ અટકાવવા દ્યાયલ પક્ષીઓની સારવાર કરવા સરકારી વિભાગો સાથે સ્વૈચ્છિક સંસ્થાઓને સાંકળી લઇ સંયુકત અભિયાન હાથ ધરવા અંગે કામગીરીનાં સંકલન અંગે બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.એ ઉતરાયણની ઉજવણી દરમિયાન પતંગના દોરાંથી દ્યાયલ થયેલા પક્ષીઓને બચાવવા તેમજ સમયસર સારવાર આપવા વન વિભાગ દ્વારા સરકારના અન્ય વિભાગો અને એનજીઓ તથા જીવદયાના ક્ષેત્રમાં સંસ્થાઓ પક્ષી બચાવવા સાથે જોડાયેલ ઉત્સુક યુવાનો અને સામાન્ય પ્રજાના સહયોગ અને જાગૃતિથી અબોલ પક્ષીઓ માટે કોઇ ખતરારૂપ ન બને તે દિશામાં સંયુકત પ્રયાસો થવા સાથે પક્ષીઓ પરત્વે સંવેદના દાખવી કરૂણા અભિયાનને વધુ સુદ્રઢ બનાવવા અનુરોધ કર્યો હતો.

 આ તકે તેમણે સ્વૈચ્છક સંસ્થાઓને પોતાની રીતે પણ કાર્ય કરવા સાથે સરકારી વિભાગોને જરૂરી કામગીરીનાં નિર્દેશ આપ્યાં હતા.

બેઠકમાં ઉપસ્થિત પીજીવીસીએલ દ્વારા ટીમ તૈયાર કરાઇ હોવાનું જણાવી રાઉન્ડ ધ કલોક ત્રણ સીફટમાં કામગીરી કરાશે, તેમ જણાવી શાળાના વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને ચોપાંનિયા અને મોટાં પોસ્ટર લગાડી જાગૃતિ ઊભી કરાશે તેમ જણાવાયું હતું.

નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી.બ્રહ્મક્ષત્રિયે ગત વર્ષે ડોકટરોની ટીમ અને સ્વયં સેવકો દ્વારા ૧૫૨ પક્ષીઓની સારવાર કરાઇ હોવાનું અને સારવાર દરમિયાન ૨૦ પક્ષીઓનાં મૃત્યુ થયાનું જણાવી ૧૩૨ પક્ષીઓને સારવાર બાદ બચાવી શકાયાનું જણાવ્યું હતું.

નોડલ વન વિભાગના શ્રી વિહોલે બેઠકના પ્રારંભે કરૂણા અભિયાનની રૂપરેખા આપી તેમનાં વિભાગ દ્વારા કરવાની કામગીરી ઉપરાંત લોકોને સચેત કરવા જનજાગૃતિનાં લેવાનારા પગલાંની પણ વિગતો આપી હતી. ચાઇનીઝ માંજાનો ઉપયોગ પ્રતિબંધિત હોઇ, તેને અટકાવવા અને પોલીસ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહીમાં વન વિભાગ પણ મદદરૂપ થાય તેવી બેઠકમાં સૂચના અપાઇ હતી.

પક્ષીવિદ શ્રી નવીનભાઈ બાપટ અને શ્રી અખિલેશ અંતાણીએ છેલ્લા દસ-બાર વર્ષથી તેઓ આ પ્રવૃતિ રામધુન પાસે કરતાં હોવાનું જણાવી વેટરનરી ડોકટર સાથેની ટીમ દ્વારા કરૂણા અભિયાનમાં સહયોગ અપાશે, તેમ જણાવી ચાઇનીઝ દોરીની વિરૂધ્ધ જનજાગૃતિ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

બેઠકમાં નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, શ્રી અંસારી, ડીવાયએસપી બી.એમ.દેસાઇ, સિવિલ સર્જન ડો.કશ્યપ બુચ, સીડીએચઓ ડો. કન્નર, ડીઇઓ ડો. પ્રજાપતિ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને ભુજ નગર સેવાસદનના શ્રી લીંબાચીયા, એનજીઓના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)