સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

ભારત-પાકિસ્‍તાન સરહદનો અંતિમ છેડો વિદ્યાકોટ એ વખત પશ્ચિમ એશિયા અને ચીન સાથે વેપાર માર્ગનું ટ્રેડ સેન્‍ટર હોવાનું રસપ્રદ અને અભૂતપૂર્વ તારણ સંશોધકોએ શોધી કાઢયુ

કચ્છ :કચ્છના મોટા રણવચાટે આવેલી કરીમશાહી અને વિઘાકોટમાં આજથી 3000 વર્ષ પહેલા લોહયુગના અવશેષો મળી આવ્યા છે. જેમાં માટલા, છીપલા, ધડા, બરણીઓ સહિત હાડકા અને દાંત તેમજ અસંખ્ય પ્રાણી અવશેષ મળી આવ્યા છે. કચ્છના મોટા રણમાં આજથી 800 થી 3000 વર્ષ પહેલાં લોહયુગમાં અહીં લોકો વસતા હોવાનું હાલનું મોટું પુરાતત્વીય સંશોધન સામે આવ્યું છે. હાલ ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલો અંતિમ છેડો વિઘાકોટ એ વખતે પશ્ચિમ એશિયા અને ચીન સાથે વેપાર માર્ગનું ટ્રેડ સેન્ટર હોવાનું રસપ્રદ અને અભૂતપૂર્વ તારણ પણ સંશોધકોએ શોધી કાઢ્યું છે.

લોહયુગના અવશેષો મળી આવ્યા

કચ્છ માટે હડપ્પન સંસ્કૃતિ બાદનું ગણનાપાત્ર અને મહત્વનું સંશોધન પ્રસિદ્ધ એલીસવિયર જર્નલમાં આ રિસર્ચ પેપર આર્કિયોલોજીકલ રિસર્ચ ઈન ઇન્ડિયાના નામે પ્રસિદ્ધ થયું છે. આજથી ત્રણ વર્ષ પહેલા આઈ.આઈ.ટી ખડગપુર, કચ્છ યુનિવર્સિટી, ડેક્કન કોલેજ, કોલકાતા યુનિવર્સિટી અને પી.આર.એલ લેબના સંયુક્ત પ્રયાસોથી કચ્છના મોટા રણમાં કાળાડુંગર અને વિઘાકોટ વચ્ચેના વિસ્તારોમાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન દરમિયાન અહીંથી માટીના વાસણો, મોટી માત્રામાં હાડકા અને ચારકોલ મળી આવ્યા હતા. જેનું ઓપ્ટિકલી સ્ટીમ્યુલેટેડ લુમીનેસસેન્સ અને રેડિયોકાર્બન પદ્ધતિ દ્વારા પૃથ્થકરણ કરતા તાજેતરમાં એ નિષ્કર્ષ આવ્યો કે, આ અવશેષો લોહયુગના હોવાનું ફલિત થયું હતું.

કચ્છના રણમાં પહેલા નદીઓ વહેતી હતી

કચ્છ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ગૌરવ ચૌહાણે જણાવ્યું કે, હાલ કચ્છનું જે અફાટ રણ આવેલું છે ત્યાં તે સમયમાં અહીં નદીઓ વહેતી હતી. આઈઆઈટીના નિષ્ણાતોના મતે કચ્છ વિસ્તારમાં મળેલા હડપ્પન અવશેષો ખડકાળ ટાપુઓ પૂરતા મર્યાદિત હતા. અહીંના રણમાં હજી સુધી માનવીય વસાહતના કોઈ જ પુરાવા કે નિશાન જોવા ન હતા મળ્યા. અહીંના નવા પુરાવા મુજબ સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પછી ઉદભવેલા માનવ વસવાટનાં સ્થળોએ હવામાન પલટા અને પાણીની અછતને કારણે સમાપ્ત થયા હોવાનું ચોંકાવનારું તારણ પણ કાઢ્યું હતું. અહીંની માટી અને તેના તત્વો તપાસતા જાણવા મળ્યું કે, કચ્છના અફાટ રણમાં પહેલા નદીઓ વહેતી હતી અને પુષ્કળ પાણીના કારણે જ પ્રારંભિક આયર્ન યુગથી મધ્યયુગીન સમય સુધી માનવ વસવાટ અહીં ટકી હતી.

ચીનનું 1100 વર્ષ જૂના ચીનના અવશેષો મળ્યાં

કચ્છના મોટા રણમાં થયેલા સંશોધનમાં માટલા, છીપલા, ઘડા, બરણીઓ અને આખલાના પૂતળાં જેવી વસ્તુઓ ઉપરાંત હાડકાં અને દાંત સહિતના અસંખ્ય પ્રાણી અવશેષો પણ મળી આવ્યા છે. જેથી તે સીધું દર્શાવે છે કે, અહીં મોટી સંખ્યામાં હાડકાં હતા. એટલે એ સમયે સંભવત પશુપાલનએ મોટો વ્યવસાય હતો. વિઘાકોટમાં ચાઈનીઝ અવશેષો મળતા આશ્ચર્ય સંશોધકોના મતે કરીમશાહી અને વિઘાકોટ બંન્ને કદાચ આ સમય દરમિયાન ટ્રેડ સેન્ટર તરીકે કાર્યરત હતા. વિઘાકોટમાં તેઓને 1100 વર્ષ જૂનું ચાઇનીઝ કિંગબાઈ પોર્સેલેઇન મળ્યું છે, જે દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં બનાવવામાં આવ્યું હતું. આ સાથે દસમી સદીના પર્શિયાના સ્ગ્રાફિઆટો માટીકામ મળી આવ્યા છે. જેથી સંશોધકોએ કહ્યું કે, પશ્ચિમ એશિયા અને ચીન વચ્ચેના લાંબા અંતરના વેપાર માર્ગ માટે વિઘાકોટ મહત્વનું ટ્રેડસેન્ટર હતું.

કચ્છમાં 150 જૂની સાઈટ આવેલી છે

કચ્છમાં અવી તો અનેક સાઇટ આવેલી છે, જેમાં ધોળાવીરા, કાનમેર, કુરાન, ખટિયા, ધનેટી આવી 150 જેટલી સાઇટ કચ્છમાં જ આવેલી છે. કચ્છના લખપતમાં ખટિયામાં બરીયલ સાઇટ મળી છે. હાલ અંદાજીત 10 જેટલી સાઇટ પર કામ ચાલુ છે. કચ્છમાં અત્યાર સુધી 2000 થી લઈને 5000 વર્ષ સુધીના જેને હડપ્પન, આયરન, મિડવૅલ યુગ કહેવાય છે, તેના અવશેષો મળી આવ્યા છે. જેમાં કેટલાક ઓજારો, માટીના વાસણો, લોખંડ અને કોપરનું સ્લેગ મટિરિયલ, જ્વેલરી  જેવી અનેક વસ્તુઓ મળી આવી છે.

ગુજરાત સરકાર નથી આપતી ફંડ

આવનારા દિવસોમાં યુનિવર્સિટી દ્વારા ગુજરાતની અંદર આર્કિયોલોજીનું કામ કરવા માટે ફંડ ગુજરાત સરકાર આપે તેવા પ્રપોઝલ મુકાશે. હાલ રણમાં મળેલ લોહયુગના અવશેષોના સંશોધન માટે પણ ફંડ આઇટી ખડકપુરે આપ્યુ હતું. અગાઉ લખપતમાં ખાટિયા સાઈટ માટે પણ ફંડ ગુજરાત સરકારે આપ્યું નથી. જો ગુજરાત સરકાર રિસર્ચ માટે ફંડ આપે તો કચ્છમાં જ 150 થી વધુ સાઇટ આવેલી છે જેના પર સારી રીતે કામ કરી શકાય.

(5:06 pm IST)