ખેડૂતોની મજબુરી અજ્ઞાનતા અને અસંગતતાથી શોષણ થાય છે : પાલભાઇ આંબલીયા
રાજુલામાં ખેડૂત જાગૃતિ અભિયાન હેઠળ ખેડૂત સભા યોજાઇ
રાજુલા તા.૭ : ધારાસભ્ય અંબરીષભાઇ ડેર અને ખેડૂત હિતરક્ષક સમિતિ રાજુલાના ઉપક્રમે ખેડૂત જાગૃતિ અભિયાન અંતર્ગત રાજુલા જાફરાબાદ ખાતે ખાંભા તાલુકાની ખેડૂતોની એક સભા ખેડૂતોના પ્રશ્ને લડતા ખેડૂત આગેવાન પાલભાઇ આંખલીયા ચેરમેન પ્રદેશ કિશાન કોંગ્રેસની વિશેષ ઉપસ્થિતીમાં મળી હતી.
આ ખેડૂત જાગૃતિ અભિયાનને સંબોધન કરતા પાલભાઇ આંબલીયાએ જણાવેલ હતુ કે અંબરીષભાઇ ડેરે છેલ્લા વીસ વીસ વર્ષ થી રાજુલાના ખેડૂતોને પાકવીમાની રકમનો એકપણ રૂપિયો મળ્યો ન હતો તેવો આ તાલુકાના ખેડૂતોનો ગત વર્ષે તેમણે કૌપ કટીંગ સહિતની કરેલ કામગીરી પછી પહેલીવાર મળ્યો એટલે અભિનંદન આપુ છુ. ખેડૂતોની મજબૂરી અજ્ઞાનતા અને અસંગઠીતતાથી શોષણ થાય છે.
તેમણે કહ્યુ હતુ કે, યાર્ડમાં ટેકાના ભાવે જે શીંગની ખરીદી થતી હતી અને જે બારદાનમાં શીંગ ભરવામાં આવતી હતી તે બારદાન ઉપર નાફેડનો લોગો હોવો જોઇએ તેના બદલે બીજો લોગો હતો અને ખેડૂતોને સીંગમાં વપરાતા બારદાન અંગે વિસ્તૃત સમજ આપી હતી અને સરકાર દ્વારા મગફળી ખરીદીમાં ૧૭ નિયમો તોડાતા હોવાનુ કહ્યુ હતુ તેમણે વધુમાં કહ્યુ કે આ સાલ મગફળી ૧૫૦ દિવસે પાકી છે પાક સારો છે. સરકારે આ મગફળીની ખરીદી ૧૨૦૦ થી ૧૩૦૦ સુધીમાં કરવી જોઇએ.
ખેડૂત ચિંતન શિબીરમાં ગાંધીનગર ખાતે યુવાનો દ્વારા સચિવાલયના કલાર્કની પરીક્ષા રદ કરવાના મુદ્દે ચાલતા આંદોલનને બે મીનીટ મૌન પાળી ટેકો જાહેર કર્યો હતો ખેડૂત જાગૃતિ આંદોલનને આયોજક અંબરીષ ભાઇ ડેરે વકતવ્યમાં કહ્યુ હતુ કે ખેડૂતો સંગઠીત નથી તેથી જ શોષણ થાય છે તેમણે છેલ્લા વીસ વર્ષથી પાક વિમો કેમ ન મળ્યો તેવો સવાલ પણ કર્યો હતો તેમણે ખેડૂતોના પ્રશ્ને રાજકારણ ન કરવાની શીખ આપી હતી. આવતા વર્ષે તમે તમારા ખેતરોમાં માત્રને માત્ર તમારા પરિવારની જરૂરીયાત મુજબનું જ શીંગ કઠોળ અનાજનુ વાવેતર કરો તેમાથી કોઇને વહેચો નહી. આ સરકાર ખેડૂતોને જે પાક વિમાની રકમ નથી આપતી જો તમે આવુ એકવાર કરશો તો સરકાર તમારી પાસે દોડીને આવશે. ચાલુ વર્ષનો પાકવિમો હજુ મંજૂર થયો નથી.