સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

ખેડૂતો માટે છેક દિલ્હી સુધી દોડી જઈ, પાક વિમાના પ્રશ્નને ઉકેલ્યો

ખેડૂતહીત માટેનો વિઠ્ઠલભાઈનો વારસો જાળવી રાખતા મંત્રી જયેશ રાદડીયા

રાજકોટ, તા. ૭ :. ગોંડલ તાલુકાના ૭૯૮, જેતપુર તાલુકાના ૧૪૪, ધોરાજી તાલુકાના ૨૨૧ અને મોરબી તાલુકાના ૧૪૮ સહિત કુલ ૧૩૧૧ ખેડૂતોએ સેન્ટ્રલ બેંક, આઈ.સી.આઈ.સી.આઈ. બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા તેમજ યુકો બેંકમાં પાક વિમાના પ્રિમીયમ ભરેલ હોવા છતા બેંકો અને વિમા કંપનીઓની ભુલના કારણે ૧૩૧૧ ખેડૂતોને ૨૦૧૬ના વર્ષનો પાક વિમો મળેલ નહીં.

આ અંગે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા સમક્ષ ખેડૂતોએ રજૂઆતો કરી હતી અને બેંકો સામે આંદોલન પણ કર્યા હતા. મંત્રી શ્રી રાદડીયાએ કોઈપણ જાતનું રાજકારણ વચ્ચે લાવ્યા વગર વિવિધ બેંકોના મેનેજમેન્ટ, વિમા કંપની તેમજ કેન્દ્ર સરકારમાં સતત છેક દિલ્હી સુધી રૂબરૂ રજૂઆતો કરી ખેડૂતોના હિતમાં તાત્કાલીક નિર્ણય કરવા ભલામણો કરી હતી. જેના પગલે વિમા કંપનીઓને ૧૩૧૧ ખેડૂતોને રૂ. ૧૧.૪૦ કરોડના પાક વિમાની રકમનું ચુકવણુ કરવા અંગેના આદેશો કૃષિ વિભાગે કરેલા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે કાયમ લડતો કરતા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની કાર્યપદ્ધતિથી જ ૧૩૧૧ ખેડૂતોના ફસાયેલ પાક વિમા માટે સફળ રજૂઆતો કરી જયેશ રાદડીયાએ વારસો જાળવી રાખેલ છે. જ્યારે ખેડૂતોના નામે માત્ર આંદોલનના નાટક કરી રાજકીય રોટલા શેકવા કોંગ્રેસના નેતાઓની બોલતી બંધ કરી દીધી છે.

(12:06 pm IST)