સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

વિધ્વંશ સામે વિકાસ અને સ્વધર્મ - સન્માન - સંઘર્ષનું અજોડ દ્રષ્ટાંત એટલે શ્રી સોમનાથ મંદિર : અમિતભાઇ શાહ

વેરાવળ - પ્રભાસપાટણ તા. ૭ : સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમીતભાઈ શાહે સોમનાથ દાદાના દર્શન-પુજન કરી સોમનાથ ચોપાટી વાઘેશ્રર મંદિર ખાતે ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્રારા પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થનાર રૂ. ૪૫ કરોડના ખર્ચે ૧૫૦૦ મીટર લંબાઇના અને ૭ મીટર પહોળા યાત્રિપથનું ભૂમિપુજન કર્યું હતું.

વર્ષો પહેલા સોમનાથ મંદિરને ૧૭ વખત ખંડિત કરાયું હતું. પરંતુ દરેક વખતે તેનો જીર્ણોધ્ધાર થયો છે અને પહેલા કરતા વધુ સુંદર નિર્માણ થયું છે. આ વિધ્વંશ સામે વિકાસ અને સ્વધર્મ-સન્માન-સંઘર્ષનું સમગ્ર દુનિયામાં અજોડ દ્રષ્ટાંત સોમનાથ મંદિર છે. પ્રથમ જયોતિલિંગ સોમનાથની પુનૅંસ્થાપના માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે અને તેના પરિણામે આજનું ભવ્ય સોમનાથ મંદિર આજે આપણી સમક્ષ છે તેમશ્રી શાહે ઉમેર્યું હતું.

શ્રી સોમનાથ મહાદેવ પ્રત્યે અતુટ શ્રધ્ધા વ્યકત કરી શ્રી શાહે કહ્યું કે, પુરાણોમાં કહેવાયુ છે કે, સોમનાથ મંદિર સુર્વણથી મઢેલુ હતું. સૌના સહયોગથી મંદિરની પુનૅંસ્થાપના સાથે મંદિરના તમામ કળશ સુર્વણ મંડિત બનશે તેવી શ્રધ્ધા તેમણે વ્યકત કરી હતી. તેમણે અહીં દરવર્ષે એક કરોડ જેટલા ભાવિકો દર્શનાર્થે આવે છે તેમના માટે સોમનાથ ટ્રસ્ટ દ્રારા કરાયેલ સુચારૂ વ્યવસ્થાની સરાહના કરી તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાએ કહ્યું કે, વોક-વે પ્રોજેકટ નિર્માણ થયા બાદ સોમનાથ મંદિરે આવતા યાત્રાળુઓની સોમનાથ મુલાકાત જીવનનું એક યાદગાર સંભારણું બની રહેશે. સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરીશ્રી પ્રવિણભાઈ લહેરીએ શાબ્દીક સ્વાગત કરતા કહ્યું કે, આઈકોનીક સ્થળમાં ગુજરાત માંથી માત્ર બે સ્થળની પસંદગી કરવામાં આવી છે જેમા સોમનાથ મંદિરનો સમાવેશ કરાયો છે. તેમણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતા વિવિધ પ્રોજેકટોની પણ વિગતો આપી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભારતીય જનતાપાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદશ્રી ચુનીભાઈ ગોહેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી ઝવેરીભાઈ ઠકરાર, રાજય બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવા, પુર્વમંત્રીશ્રી જશાભાઈ બારડ, પુર્વ સાંસદશ્રી દિનુભાઈ સોલંકી, પુર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમાર, કે.સી.રાઠોડ, નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, શ્રી જેઠાભાઇ પાનેરા પ્રવાસન નિગમના એમ.ડી. જનુ દિવાન, ડી.ડી.ઓ ધર્મેન્દ્રસિંહ રહેવર, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા, અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રિ વોક-વે સાગર દર્શનથી શરૂ થઈને ત્રિવેણી સંગમ સુધી રહેશે. યાત્રાળુઓ આ પથ ઉપર ચાલતા સમુદ્ર દર્શન, શ્રી સોમનાથ મંદિરના દર્શન, શ્રી રામ મંદિરના દર્શન તેમજ ત્રિવેણી સંગમની અલૌકીક અનુભુતિ થશે. આ પથ પર ૨૦૦ મીટરના અંતે કલાત્મક બેઠક વ્યવસ્થા ઉભી કરવમાં આવશે. ભકિતમય સંગીતની સુરાવલીઓ સાથે રાત્રીના આ પથ ઉપર આધુનિક લાઈટીંગની વ્યવસ્થા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રસાદ યોજના અંતર્ગત કુલ રૂ.૧૦૦ કરોડના યાત્રાધામ વિકાસના કામો સોમનાથ ખાતે નિર્માણ થશે.(૨૧.૧૩)

(11:51 am IST)