સાયલાના સોખડામાં પિતાના ઘરે કોળી સગર્ભા નિરૂનો આપઘાત
ઓવનગઢ સાસરૂ ધરાવતી પરિણીતાએ મગજની બિમારીને કારણે પગલું ભર્યુઃ રાજકોટમાં મોત
રાજકોટ તા. ૭: સાયલાના ઓવનગઢ ગામે સાસરૂ ધરાવતી અને નજીકના સોખડા ગામે માવતર ધરાવતી નિરૂબેન રમેશ સરવૈયા (ઉ.૨૩) નામની તળપદા કોળી સગર્ભાએ પિતાના ઘરે ઝેરી દવા પી લેતાં મોત નિપજ્યું છે.
નિરૂબેનના લગ્ન એક વર્ષ પહેલા ઓવનગઢના રમેશ સાથે થયા હતાં. રમેશ ખેતી કરી ગુજરાન ચલાવે છે. હાલમાં નિરૂબેનને સારા દિવસો જઇ રહ્યા હતાં. તેણીને મગજની બિમારી લાગુ પડતાં સોખડા રહેતાં પિતા મીઠાભાઇ કુકાભાઇ શેખના ઘરે દવા કરાવવા કેટલાક દિવસથી આવી હતી. બિમારીથી કંટાળીને અહિ ગઇકાલે સવારે તેણીએ ઝેરી દવા પી લેતાં સાયલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ સાયલા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર નિરૂબેન છ બહેન અને બે ભાઇમાં ચોથા નંબરે હતી. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.