માતાના મઢમાં રાજવી પરંપરા અનુસાર પતરી વિધિ સંપન્નઃ માતાજીએ આપ્યો સારા ભવિષ્યનો સંકેત
સાતમના રાત્રે હવનવિધિમાં રાજાબાવાએ બીડું હોમ્યું: આઠમની સવારે ચામરયાત્રા સાથે પતરીની પરંપરાગત વિધિ, શનિવાર રાત્રે અને રવિવારે માતાના મઢમાં ૬૦ હજારથીયે વધુ દર્શનાર્થીઓ ઉમટ્યા
ભુજ,તા.૭: માતાના મઢ મધ્યે કચ્છની ચારસો વર્ષની રાજવી પરંપરા અનુસાર ચામરયાત્રા અને પતરીવિધિ ગઈકાલે રવિવારે સંપન્ન થઈ હતી. શનિવારે મોડી રાત્રે હવનવિધિ દરમ્યાન માતાના મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ હવનમાં બીડું હોમ્યું હતું. આ પ્રસંગે હજારો માઇભકતોના 'આશાપુરા માત કી જય' ના જયદ્યોષ સાથે મંદિર સંકુલ ગાજી ઉઠ્યું હતું. જયારે ગઈકાલે આઠમના રવિવારે સવારે માતાના મઢમાં રાજવી પરિવાર દ્વારા થતી ધાર્મિક પૂજા વિધિ અનુસાર કચ્છના રાજવી પરિવાર વતી દેવપર ઠાકોર કૃતાર્થસિંહે ચાચરા કુંડમાં સ્નાન કર્યા બાદ ચાચરા ભવાની મંદિરે બ્રાહ્મ ણો દ્વારા કરાયેલ પૂજાવિધિમાં ભાગ લીધો હતો. પછી ચાચરા કુંડથી દેવપર ઠાકોર કૃતાર્થસિંહ ખુલ્લા પગે મા આશાપુરા ના મંદિરે ચામરયાત્રા સાથે નીકળ્યા હતા.
વાજતેગાજતે નીકળેલી આ ચામરયાત્રામાં જાડેજા ભાયાતો મોટી સંખ્યામાં જોડાયા હતા. મા આશાપુરાના નિજ મંદિરની અંદર કૃતાર્થસિંહજીએ પાલવ ફેલાવીને આર્શીવાદ માંગ્યા હતા, જે દરમ્યાન ઢોલ ડાકલાના નાદે પૂજારી પરિવાર દ્વારા માતાજીની આરતી કરાઈ હતી. આ આરતી દરમ્યાન રાજવી પરિવાર વતી કચ્છ અને કચ્છની પ્રજા ઉપર માતાજીની મહેર ઉતરે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.
આ પ્રાર્થના અને પૂજા વિધિ દરમ્યાન માતાજીની મૂર્તિ ઉપર પતરીના લગાવેલા ફૂલ આર્શીવાદ રૂપે રાજવી પરિવારના સભ્ય દ્વારા ફેલાવેલી ઝોળીમાં પડે તો તેને અતિ શુભ સંકેત સાથે માતાજીના આર્શીવાદ મનાય છે. આ વર્ષે માતાજીએ ઠાકોર કૃતાર્થસિંહ ઉપર પતરીના આર્શીવાદ વરસાવીને કચ્છના સારા ભવિષ્યનો સંકેત આપ્યો છે. આ પરંપરાગત પતરી વિધિ છે.
જે પૂર્ણ થયા બાદ રાજવી પરિવાર દ્વારા મંદિરના અધ્યક્ષ રાજાબાવાની શુભેચ્છા મુલાકાત લઈને આર્શીવાદ મેળવાય છે. ત્યારબાદ મંદિરના અધ્યક્ષ રાજાબાવા માતાના મઢ મધ્યે આવેલ રાજવી પરિવારના ઉતારાની મુલાકાત લઈને સૌની મંગલકામના માટેની શુભેચ્છાઓ પાઠવે છે.