મા ઉમિયાના જયઘોષ સાથે રાજકોટથી સિદસર સુધી પદયાત્રા
શ્રી ઉમિયા માતાજીના ૧૨૦માં પ્રાગટયદિનની પૂર્ણાહુતિ પ્રસંગે સિદસરમાં મહાયજ્ઞ : બુધવારે રાજકોટથી પ્રસ્થાન થશેઃ વધુને વધુ પદયાત્રીકોને જોડાવવા અનુરોધ
રાજકોટઃ તા૭, કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજી સિદસર પ્રાગટયની ૧૨૦ મી પૂર્ણાહુતી પ્રસંગે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટથી સિદસર સુધી પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા, ૧૧ ને બુધવારના રોજ સંસ્થાની ઓફિસ રાજકોટ થી પ્રસ્થાન કરશે. જેમાં અનેક પદયાત્રિકો જોડાશે.
રાજકોટ શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા સુદ પૂનમ ના રોજ શ્રી ઉમિયા માતાજી સિદસર ના પ્રાગટય દિન નિમિત્ત્।ે યોજાનાર મહાયજ્ઞમાં ભાગ લેવા તથા રાજકોટ થી સિદસર સુધી શ્રી ઉમિયા માતાજીના રથ સાથેની પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા તા. ૧૧ ને બુધવારના રોજ સંસ્થાની ઓફિસ અંકુર કમશીયલ સેન્ટર ગોંડલ રોડ થી સવારે ૪:૩૦ કલાકે પ્રારંભ થશે.
રાજકોટથી પદયાત્રિકોનો સંઘ માં ઉમિયા જયઘોષ સાથે સિદસર જવાની રવાના થશે. રાજકોટથી શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર જતા પદ યાત્રિકો વેરાવળ (શાપર) પહોંચશે. શાપર વેરાવળ ખાતે પદયાત્રીકો ચા-નાસ્તો કરી રીબડા, થઇ દાળેશ્વર મહાદેવના મંદીરે બપોરની પ્રસાદી લઇ વિરામ કરશે. બપોરે ૨:૩૦ કલાકે ત્યાથી પ્રસ્થાન કરી વાળધરી કોલીથડ થઈ ગરનાળા મુકામે રાત્રી ની પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરશે.
તા.૧૨ને ગુરૂવારે ગરનાળા મુકામે ચા-નાસ્તો કરી પ્રસ્થાન કરી ત્રાકુડા થઇ ખોડીયાર મંદિરે નાસ્તો લઇ, ઉમરાળી, ધોળીધાર થઇને જામકંડોરણા તિરૂપતિ જનમીલ ખાતે બપોરની પ્રસાદી લીધા બાદ આરામ કરીશું. બપોરે ૨:૩૦ કલાકે પદયાત્રીકોનો સંધ ત્યાંથી પ્રસ્થાન કરી જસાપર, નાગબાઈની ધાર, ખરડા થઇ જામટીંબડી મકામે રાત્રી પ્રસાદ લેશે. તેમજ રાત્રી રોકાણ કરશે. તા. ૧૩ ને શુક્રવારના રોજ સવારે ૫ કલાકે જામટીબડી મુકામે ચા લઇ પ્રસ્થાન કરી સાજડીયાળી મુકામે ચા-નાસ્તો લઇ અરણી થઇને ભાયાવદર મુકામે બપોરની પ્રસાદી લઇ આરામ કરાશે. બપોરના ૧૨ કલાકે પ્રસ્થાન કરી ખારચીયા, મોટી પાનેલી થઇ ને સિંદસર મુકામે પહોચશે. જયા શ્રી ઉમીયા માતાજી મંદિરે સાંજની આરતીનો લાભ લઇ ને રાત્રી પ્રસાદી તેમજ રાત્રી રોકાણ કરશે..
દર વર્ષે ભાવિકોની ભજન-કિર્તન સાથે માતાજી ના જયઘોષ સાથે પદયાત્રા કરે છે. શ્રી ઉમિયા માતાજી પ્રત્યે શ્રધ્ધા અને આસ્થા ધરાવતા ભાવિકો આ પદયાત્રામાં જોડાય છે. ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઉકાણી, સહ મંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ખજાનચી ભૂપતભાઇ જીવાણી, તેમજ ટ્રસ્ટી રાજેશભાઇ ત્રાંબડીયા, કાન્તીભાઈ કનેરીયા કારોબારી પ્રમુખ પ્રફુલભાઇ દેત્રોજા જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પદ યાત્રામાં જોડાવા ઇચ્છુક ભાઈ-બહેનોએ પદયાત્રાના ફોર્મ અમી ગ્રાફિકસ -ગુરૂકુલ ગોંડલ રોડ, પ્રમુખ મેડીસીન-કોટેચા ચોક, શીતલ ટ્રાવેલ્સ,પંચાયત નગર, ઉમિયા જી પાન, યોગેશ્વર પાર્ક, ઉમિયા યુવા ચેરી. ટ્રસ્ટ-બેકબોન શોપિંગ સેન્ટર, રૂપ બ્યુટી શોપ- સ્વામિનારાયણ ચોક, ઉમા લક્ષ્મી મંડપ સર્વિસ, જલજીત સોસાયટી, રીતી બ્યુટી શોપ માધવ પાર્ક ૧૫૦ ફુટ રીંગ રોડ, ઉમિયા કડવા પટેલ સમાજ શ્રીરામપાર્ક, ભગવતી હોલની સામે, વિસ્વાસ આરો ઇલેકટ્રીક, અંબિકા ટાઉનશિપ, શ્રી ઉમિયા કડવા પટેલ સેવા સમાજ શાપર વેરાવળ ખાતે થી મેળવી તેમજ પરત આપવા સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.