સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th September 2018

ખંભાળીયા પાસે દુબઇના બિલ્ડર પોપટભાઇ કણઝારિયાનું અકસ્માતમાં મોત

સતવારા સમાજનાં ''ભામાશા''ના મોતથી અરેરાટીઃ કાર ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો

ખંભાળિયા તા.૭: જામનગર રોડ પર આજે વહેલી સવારે ૩ાા વાગ્યા આસપાસ દુબઇના રહેવાસી  એન.આર.આઇ. ઉદ્યોગપતિ પોપટભાઇ રામજી કણઝારીયાનું કાર અકસ્માતમાં કરૂણ મોત નિપજતા સતવારા સમાજમાં હાલાર પંથક તથા દુબઇમાં ભારે શોકની લાગણી છવાઇ છે.

મુળ કલ્યાણપુરના વતની અને હાલ દુબઇમાં 'સીટી સ્કાય' નામની બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કંપની ચલાવતા પોપટભાઇ રામજી કણઝારીયા ઉ.વ.૫૦ તથા તેનાભાઇ શામજી રામજી કણઝારીયા ઉ.વ.૪૩ વાળા ક્રેટા હ્યુન્ડાઇ કાર નં. જી.જે. ૧૦ સી.જી. ૮૦૮૮ લઇને કલ્યણપુરી રાત્રે આઠ વાગ્યે તેમના બનેવી જામનગર બીમાર હોય તબિયત બગડવાના ખબર પડતા બન્ને ભાઇઓ કાર લઇને જામનગર જતા હતા ત્યારે આરાધના ધામ પાસે સિંહણ નદીના પુલથી આગળ બે ટ્રક અકસ્માત થયેલા પડેલા હતા સામેથી એક વાહન આવતા કાર ચલાવતા પોપટભાઇએ ક્રેટા કાર પર કાબુ ગુમાવતા કાર ધડાકા સાથે અકસ્માત થયેલા ટ્રકમાં પાછળ ઘુસી ગઇ હતી.

સમયસર મદદ છતાં એકનું મોત

રાત્રે ૩ાા વાગ્યે ધડાકા સાથે કાર અથડાતા એટલા જોરથી કાર અથડાઇ કે આગલો ભાગ છુંદાઇ ગયેલો તથા આ કિંમતી કારની આગળની બંન્ની એરબેગ પણ નીકળી ગઇ હતી પણ અકસ્માતનો ધડાકો થતાં ત્યાંથી પસાર થતાં ખંભાળિયાના નવગુજરાતના પત્રકાર યુનુસભાઇ દારૂવાલાએ તુરત ત્યાંથી પસાર થતાં લોકોની મદદથી બંન્ને ઇજાગ્રસ્તોને કાર માંથી કાઢી ૧૦૮ને બોલાવી હોસ્પિટલે પહોંચાડયા હતા. પરંતુ પોપટભાઇનું મૃત્યુ થયું હતુ તથા રામજીભાઇને ગંભીર ઇજા સાથે રાજકોટ ખસેડાયા હતા.

બનાવની જાણ થતાં ખંભાળીયાના હર્ષદપુરના પૂર્વ સરપંચ સંજયભાઇ નકુમ, અતુલભાઇ નકુમ તથા સતવારા અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તથા ઇજાગ્રસ્તને રાજકોટ પહોંચાડવા વ્યવસ્થા કરી હતી.

સતવારા સમાજના ભામાશા હતા

મૃતક પોપટભાઇ રામજી કણઝારીયાના સંદર્ભમાં જાણીતા ઇજનેર અતુલભાઇ હરીભાઇ નકુમે જણાવ્યું હતું કે પોપટભાઇ સતવારા સમાજના ભામાશા જેવા હતા. જેમણે એજયુકેશન ટ્રસ્ટ સ્થાપીને શિક્ષણ માટે અનેક વિદ્યાર્થીઓને ખુબ જ મદદ કરતા હતા તથા વિદ્યાર્થીઓને જાણ પણ ના થાય તેવી રીતે નામ વગર મદદ કરતા હતા તથા દુબઇમાં રહેતા ભારતીયોને પણ ગમે ત્યારે મદદરૂપ થતા હતા તથા દૂબઇના રાજવી પરિવાર સાથે ધરોબો ધરાવતા દૂબઇના અગ્રણી બિલ્ડર હતા અને રપ થી વધુ વર્ષોથી ત્યાં રહેતા હતાં.

મૃતક પોપટભાઇને બે દિકરા તથા બે દિકરીઓ હતી જેમાં એક પુત્રના લગ્ન થયા હતાં.

બે ટ્રકો અકસ્માત થયેલા  તેમાં આ કાર  અથડાઇ

સિંહણના પુલ પાસે બે ટ્રકો અથડાયેલા પડયા હતા જેમાં આ પોપટભાઇ કણઝારીયાની કાર ઘુસી જતાં અકસ્માત થયો જેમાં પોપટભાઇનું મોત નિપજયું. બન્ને ટ્રકો અથડાયેલી સ્થિતિમાં હતા જેમાં એક ટ્રક રોડ પર પડયો હોય આ બનાવ બન્યો હતો

અકસ્માતનું કાળચક્ર

રાત્રે જાણે આ રોડ પર અકસ્માતનું કાળચક્ર ફર્યુ હોય તેમ બે ટ્રકો અથડાયા હતા તથા ત્રણ કારનો અકસ્માત પણ થયો હતો. જો કે તેમાં કોઇ ઇજા થઇ નથી બનાવ અંગે વાડીનાર પો. સ. ઇ. હિંગરોજાએ તપાસ હાથ ધરી હતી.(૧.૧૪)

(11:47 am IST)