ધોરાજી મામલતદાર દ્વારા ૪૯ મધ્યાન ભોજન સંચાલકોને નોટીસ
ધોરાજી, તા. ૭ : મમલતદાર દ્વારા ધોરાજી શહેર અને તાલુકાના ૪૯ જેટલા મધ્યાન ભોજન યોજનાના સંચાલકોને શા માટે શિક્ષાત્મક કાર્યવાહી ન કરવી તેનો ખુલાસો માંગતી નોટીસ ફટકારવામાં આવી હતી.
સરકારશ્રીની મધ્યાન ભોજન યોજનામાં નવા મેનુ, પગાર વધારો, કન્ટીજન્સી સહિત વિવિધ માંગણીઓ સાથે ધોરાજી શહેર અને તાલુકા વિસ્તારના ૪૯ જેટલા મધ્યાન ભોજન સંચાલકો દ્વારા છેલ્લા ૬ દિવસથી હડતાલ ચાલી રહી છે.
મામલતદાર મહેન્દ્રભાઇ હુદડાએ શાળાના બાળકોના હિતમાં વિચારી સંચાલકોને ખૂલાસા માટે નોટીસ પાછળ જણાવેલ કે શાળાના બાળકોને પૂરતું પોષણ મળી રહે તેવા શુભ આશયથી સરકાર દ્વારા શરૂ થયેલ મધ્યાન ભોજન યોજનાને સામૂહિક હડતાલથી અવરોધ ઉભો કરીને યોજનાના લાભાર્થી બાળકોને ભોજનથી વંચીત રખાઇ તે બીલકુલ વ્યાજબી નથી. સંચાલકો સાથે બે વખત રૂબરૂ મીટીંગ યોજી એમ.ડી.એમ. કેન્દ્રો ચાલુ કરવા સમજાવવામાં આવેલ તેમ છતાં મધ્યાન ભોજન કેન્દ્રો હજુ શરૂ નહીં કરાતા નિમણૂંકના હુકમની શરત નં. ૬ નો ભંગ કરેલ છે. નિમણૂંક હુકમોના અનાદર બદલ ફુડ સિકયુરીટી એકટ હેઠળ કાર્યવાહી કરવા અને શિક્ષાત્મક કાર્યવાહી શા માટે ન કરવી ? તેનો ખુલાસો લેખીત સ્વરૂપે તા. ૯-૭-૧૮ સુધી રજૂ કરવા નોટીસ ફટકારી હતી.